કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને ધ્રોલ ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
સ્વાગત કાર્યક્રમમાં આવેલ ૨૯ પૈકી ૨૪ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ લાવી અરજદારોની સમસ્યાનું નિરાકરણ લવાયું
જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને ધ્રોલ પ્રાંત અધિકારીશ્રીની કચેરી ખાતે ધ્રોલ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા સ્વાગતમાં આવેલ ૨૯ અરજીઓ પૈકી ૨૪ અરજીઓનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી અરજદારોની સમસ્યા તથા પ્રશ્નોનું નિરાકરણ લવાયું હતું.
ધ્રોલ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોના પ્રશ્નોને જિલ્લા કલેકટરશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોના નિકાલ લાવવા સૂચના આપી હતી. સાથે સાથે જ્યાં જરૂર જણાઈ ત્યાં વિભાગોનું અરસ પરસ સંકલન કરી અરજદારનો પ્રશ્ન ઝડપથી હલ થાય તે પ્રકારે કામગીરી કરવા લગત અધિકારીઓને જણાવ્યું હતું.
આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે મહેસુલ વિભાગ, પંચાયત, નગરપાલિકા તથા સિંચાઈ વિભાગને લગત પ્રશ્નો અરજદારો દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. જેનું સ્થળ પર જ હકારાત્મક નિરાકરણ આવતા અરજદારોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે, મામલતદાર તથા લગત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.