જોલીબંગલાથી તળાવની પાળ તરફ જતાં પ્લોટ પોલીસ ચોકી વિસ્તારના એક મુખ્ય માર્ગ પર ભૂગર્ભ ગટરના તુટેલા ઢાંકણામાં કોઇ પડી ન જાય, કોઇ અકસ્માત ન સર્જાય એ ખાતર સજ્જન વ્યકિત દ્વારા ખુરશી મુકી દેવામાં આવી છે જેથી કરીને લોકો ભૂગર્ભ ગટરના આ ખાડામાં પડવાથી બચી શકે, આ તો એક સામાન્ય બાબત છે જે તસવીરમાં દેખાય છે, પરંતુ આ જ તસવીરમાંથી એક અસામાન્ય બાબતનો સંદેશ નિકળે છે અને તે જોડાયેલ છે સતાધીશોની ખુરશી સાથે....હા ભાઇ, અત્ર-તત્ર-સર્વત્ર અત્યારે ખુરશીનો ખેલ છે, જેની પાસે સતા હોય તેના પડયા બોલ જીલાય છે, હા એ વાત અલગ છે કે, ભાજપ શાસીત મહાનગરપાલીકા જે અઢી દાયકાથી સતા ભોગવે છે, એ લોકો કદાચ એ વાત ભુલી ગયા છે કે, છેલ્લા અઢી દાયકાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે ઓલી પથ્થરો તરી જાય જેવી કહેવત સાચી ઠરી છે અને કેટલાક એવા પણ પ્રજાના પ્રતિનિધિ બની ગયા છે જેની પાસે વાસ્તવમાં પ્રજાની સેવાનું કોઇ લક્ષ્ય જ નથી. હાલમાં જામનગરના મુખ્ય માર્ગો પર ખાડાઓનો પ્રશ્ર્ન લાંબા સમયથી લોકોને સતાવી રહ્યો છે, એવું નથી કે, મહાનગરપાલીકા કાંઇ કરતી નથી, ખાડા બુરાય છે પરંતુ સો ટકા ખાડા બુરવામાં આ તંત્ર નિષ્ફળ રહ્યું છે, પરીણામે હજુ પણ ઘણા બધા માર્ગો પર ખાડા છે.
હવે આ ખુરશી અને ખાડાને શું લેવા દેવા ? તેનો વાંચકોને થોડો સંકેત આપી દઇએ કે મહાનગરપાલીકાની ચૂંટણીને હવે બહુ ઝાઝો સમય રહ્યો નથી, તમારી ખુરશી રહેશે કે જશે ? તેનો ચુકાદો ફરી એક વખત જનતા આપશે, એટલે સાનમાં સમજી જાઓ કે આ ખુરશી ખાડામાં ખુપી જવાની પુરી ભીતિ છે ભાઇ....દિવાળીના તહેવારો આવી રહ્યા છે એ પૂર્વે આશા રાખીએ કે જામનગરના તમામ માર્ગ ખાડા મુકત બની જશે, નહીં તો ઘ્યાન રાખજો ઉપર દેખાતી તસવીર મુજબ ખુરશીને ખાડામાં જતા વાર નહીં લાગે.