BREAKING NEWS

જામનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા

  • July 08, 2026 02:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા

ભક્તિ, ઉત્સવ અને મહાપ્રસાદનો ત્રિવેણી સંગમ: શહેરના મુખ્ય માર્ગો પર તા.૧૮ જુલાઇથી યાત્રા પરીભ્રમણ કરશે: રૂટ પર ફ્રુટ, શરબત, શીરાનો મહાપ્રસાદ વિતરણ થશે

જામનગરના આંગણે આગામી તારીખ ૧૮ જુલાઈ ૨૦૨૬, શનિવારના પવિત્ર દિવસે ઇસ્કોન જામનગર પરિવાર દ્વારા ભક્તિભાવપૂર્વક ૧૯મી ભવ્ય ’શ્રી જગન્નાથ રથયાત્રા’નું મંગલમય આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર નગરમાં ’હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે’ ના દિવ્ય મહામંત્રના નાદ સાથે અગણિત ભક્ત સમુદાયની પ્રેરક ઉપસ્થિતિમાં જગતના નાથ નગરચર્યાએ નીકળશે.

આ મહોત્સવની શુભ શરૂઆત પરમ પૂજ્ય ભક્તિ વિકાસ સ્વામી મહારાજના કૃપાપાત્ર શિષ્ય શ્રીમાન ચૈતન્યા મહાપ્રભુ દાસજીના વિશેષ પ્રવચનથી થશે, જે સાંજે ૮:૦૦ કલાકે ઇસ્કોન મંદિર, જામનગર ખાતે યોજાશે, જ્યાં હરિભક્તો કથાશ્રવણનો દિવ્ય લાભ મેળવી ધન્યતા અનુભવશે.

ભગવાન શ્રી જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની આ પાવન રથયાત્રાનું પ્રસ્થાન બપોરે ૩:૩૦ કલાકે શ્રીજી હોલ ચોક, સિદ્ધિ પાર્ક, મેહુલ નગર પાસેથી પરંપરાગત વૈદિક વિધિ-વિધાન સાથે કરવામાં આવશે. રથયાત્રાના નિર્ધારિત પવિત્ર માર્ગમાં શ્રીજી હોલ ચોક ખાતે શ્રી ઉમીયા પરિવાર સમિતિ, સમસ્ત કડવા પટેલ સમાજ, મહાદેવ હર મિત્ર મંડળ, એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે જિલ્લા પંચાયત કર્મચારી મહામંડળ, સત્યમ કોલોની ગેઇટ ખાતે આહિર સમાજ, રોઝી પેટ્રોલ પંપ પાસે યુવા સારથી ફાઉન્ડેશન, પંજાબ બેંક પાસે ફેકટરી ઓનર્સ એસો. તથા સર્વે હોદ્દેદારો અને ચૌહાણ ફળી મિત્ર મંડળ, પ્રણામી સ્કુલ પાસે નવાનગર બેંક પરિવાર, એચડીએફસી બેંક પાસે સમસ્ત લેઉવા પટેલ સમાજ, જૈન દેરાસર પાસે વિસા ઓશવાળ સમાજ, સુમુખ હોટલ પાસે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ હાપા, પ્લોટ પોલીસ ચોકી પાસે શ્રી વૈષ્ણવ ભાટીયા સમાજ અને શ્રી કચ્છી ભાનુશાળી મહાજન સરોવર ટ્રસ્ટ તેમજ હિન્દુ જાગરણ મંચ, ખંભાળીયા ગેઇટ પાસે શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિર, હવાઇ ચોક પાસે હાલારી ભાનુશાળી સમાજ, ચાંદી બજાર પાસે લોહાણા મહાજન સમાજ, શ્રી વિસા શ્રીમાળી સોની સમાજ, ગુજરાત રઘુવંશી લોહાણા સમસ્ત સમાજ, સજુબા હાઇસ્કુલ પાસે જામનગર વેપારી મહામંડળ, દિપક ટોકીઝ પાસે ધ સીડ્સ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસો., ખાદી ભંડાર પાસે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ, બેડી ગેઇટ/સુપર માર્કેટ પાસે જામનગર-દ્વારકા સમસ્ત રાજપુત સમાજ અને નોબત પરિવાર લીમડા લાઇન પાસે શ્રી આણદાબાવા સેવા સંસ્થા, ઝુલેલાલ ચોક પાસે સમસ્ત સિંધી સમાજ, કેવી રોડ પર જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ (સૌરાષ્ટ્ર કચ્છ) અને શ્રી ઔ.સ.જા. બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટ, પોટરી ગલી પાસે સમસ્ત કોળી સમાજ, સમસ્ત સતવારા સમાજ, શ્રી સોરઠીયા અને શ્રી સૌ.મચ્છુ કડીયા લુહાર સમાજ તેમજ ઇસ્કોન મંદિરે શિવ રેસીડેન્સી વિગેરે દ્વારા રૂટ પર ભક્તો માટે મહાપ્રસાદ તેમજ સરબતનું વિતરણ કરાશે, તે સાથે ભગવાનશ્રી જગન્નાથજીનું સ્વાગત અને સત્કાર કરવામાં આવશે.

આ માર્ગો પર શહેરના ૨૨ જેટલા વિવિધ સામાજિક, ધાર્મિક સંગઠનો અને જ્ઞાતિ મંડળો દ્વારા ઠેર-ઠેર ઉત્સાહભેર સ્વાગત-સત્કાર સમિતિઓ રચવામાં આવી છે, જે ભગવાનનું પુષ્પવર્ષા, આરતી અને સત્કાર સાથે ભવ્ય સ્વાગત કરશે. રથયાત્રાનું મંગલમય સમાપન સાંજે ૭:૩૦ કલાકે કાશી વિશ્વનાથ મંદિર, પોટ્રીગલી પાસે, કે.વી. રોડ ખાતે મહાઆરતી સાથે થશે.

રથયાત્રાના સમગ્ર માર્ગ દરમિયાન હજારો દર્શનાર્થીઓ માટે શીતળ જળ, ફ્રુટ-શરબત, ઠંડા પીણાં, આઈસ્ક્રીમ અને દિવ્ય હલવાના મહાપ્રસાદનું વિતરણ અવિરતપણે ચાલુ રહેશે. ઇસ્કોન મંદિર પ્રશાસન દ્વારા અંદાજે ૧૦,૦૦૦ થી વધુ ભક્તો માટે ખીચડી, કઢી અને હલવાના ભવ્ય ભંડારાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ મહાપ્રસાદ રાત્રે ૮:૩૦ કલાકે ઇસ્કોન મંદિર, શિવ રેસીડેન્સી પાછળ, હાપા ખાતે પીરસવામાં આવશે. રૂટ પર જામનગર તેમજ બરોડા, વલ્લભ વિદ્યાનગર, ભરૂચ, સુરત, પોરબંદર થી વધારે કૃષ્ણ ભક્તો સંકિર્તન હરેકૃષ્ણના મંત્રોના નાદ કરી રમઝટ બોલવશે.

આ ભગીરથ અને પવિત્ર કાર્યમાં હરિભક્તો પોતાની યથાશક્તિ મુજબ અનાજ, સુકામેવા, શાકભાજી કે ધનનું દાન આપીને પુણ્યનું ભાથું બાંધી શકે છે. ઇસ્કોન જામનગર પરિવારના મુખ્ય વ્યવસ્થાપક રમારમણ દાસ અને મંદિરના પ્રમુખ શ્રીમાન મુરલીધર દાસ દ્વારા સમગ્ર ધર્મપ્રેમી જનતાને આ અલૌકિક રથયાત્રા અને મહાપ્રસાદનો લાભ લેવા સહપરિવાર જોડાવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે રમારમણદાસ પ્રભુ મો. ૯૪૨૯૦-૭૧૫૧૪, ૯૪૨૭૪-૫૯૬૪૫, ૯૪૨૬૯-૧૮૭૫૫ તેમજ એડવોકેટ દિલીપ ભોજાણીનો સંપર્ક કરવા જામનગર ઇસ્કોનના પ્રમુખ મુરલીધરદાસ પ્રભુએ જણાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application