BREAKING NEWS

રાજકોટમાં પત્નીને ગોળી ધરબી પતિનો આપઘાત કેસઃ પત્ની તૃષાનું સારવાર દરમિયાન મોત, ભત્રીજા સાથે અનૈતિક સંબંધનો લગાવ્યો હતો આરોપ

  • November 17, 2025 09:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના જામનગર રોડ પર નાગેશ્વર પાસે જૈન મંદિર નજીક તિર્થ બિલ્ડિંગમાં રહેતા લાલજી રમેશભાઇ પઢીયાર (ઉં.વ. ૪૨)એ તેની પત્ની તૃષાબેન પઢીયાર(ઉં.વ. ૩૯) નજીકમાં જ આવેલા સમેત શિખર એપાર્ટમેન્ટના પાર્કિગમાં સહેલી સાથે ઉભા હતા ત્યારે તેના ઉપર પોતાના પરવાનાવાળા હથિયારથી ફાયરિંગ કરી ખુદને લમણે ગોળી મારી દેતા પતિનું ઘટનાસ્થળે મોત થયું હતું. જયારે પત્નીને ગંભીર હાલતમાં સારવાર માટે પ્રથમ સરકારી હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું છે. આથી બનાવ હત્યામાં પલટાયો છે.


પત્ની સહેલી સાથે રહેતી હોવાનો આક્ષેપ

બનાવને લઈ ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતાં. પત્ની પર ફાયરિંગ કરી પતિએ આપઘાત કરી લીધાની આ ઘટનામાં પ્રાથમિક તપાસમાં એવી વિગત સામે આવી હતી કે, પતિ લાલજીભાઇના પરિવારે એવો આક્ષેપ કર્યેા હતો કે, તૃષાબનેને સામાકાંઠા વિસ્તારમાં રહેતા કૌટંબિક ભત્રીજા વિશાલ મહેશ ગોહેલ સાથે સંબધં હોય જેને લઇ પતિ–પત્ની વચ્ચે ઝઘડા ચાલતા હતા. પત્ની છેલ્લા દોઢ માસથી પતિથી અલગ સમેત શિખર બિલ્ડિંગમાં સહેલી પૂજા સાથે રહેતી હતી. બંને સહેલી જીમમાંથી આવી અહીં બિલ્ડિંગના પાર્કિંગમાં ઉભી હતી ત્યારે પતિએ અહીં આવી ગોળીબાર કર્યો હતો.


પતિએ લમણે ગોળી મારી આપઘાત કર્યો હતો

બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જામનગર રોડ પર નાગેશ્વર પાસે જૈન મંદિર નજીક ભવાની ચોક શેરી નંબર નવ તીર્થ બિલ્ડિંગમાં રહેતા તૃષાબેન લાલજીભાઈ પઢીયાર (ઉં.વ. ૩૯) નામના પરિણીતા શનિવારે સવારના સુમારે અહીં નજીકમાં જ સમેત શિખર એપાર્ટમેન્ટમાં તેમની સહેલી પૂજાબેન સોનીના ઘર પાસે પાર્કિંગમાં હતા. ત્યારે તૃષાબેનના પતિ લાલજીભાઈ અહીં ધસી આવ્યા હતા. બાદમાં તેણે હાથાપાઇ કરી પોતાની પાસે રહેલી પરવાનાવાળી બંદુકથી પતિ લાલજીએ પત્ની તૃષાબેન પર ફાયરિંગ કર્યું હતું. જેમાં તૃષાબેનને ગળાના ભાગે ગોળી વાગી હતી. બાદમાં પતિ લાલજી પઢિયારે ખુદને પણ ગોળી મારી દીધી હતી. જેમાં લાલજીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.


ફાયરિંગ થતા સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ હતી

પત્નીને ગોળી મારી પતિએ ખુદને ગોળી માર્યાની આ ઘટનાના પગલે એક તબક્કે અહીં નાસભાગ મચી ગઈ હતી. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર.મેઘાણી તથા સ્ટાફ તથા ડીસીપી રાકેશ દેસાઇ, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયા હતા. ફાયરિંગની આ ઘટનામાં તૃષાબેનને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


દંપતીનો લગ્નગાળો ૧૮ વર્ષનો હતો

વધુમાં મળતી વિગતો મુજબ, દંપતીનો લગ્નગાળો ૧૮ વર્ષનો હતો. તેમને સંતાનમાં એક પુત્ર ઓમ(ઉં.વ. ૧૭) છે જે હાલ મારવાડી કોલેજમાં અભ્યાસ કરે છે. તૃષાબેનનું માવતર જેતપુર છે. પતિ લાલજી બે ભાઇ એક બહેનમાં વચેટ છે. તે ગોંડલ રોડ પર ટ્રેકટરના સ્પેરપાર્ટસની દુકાન ધરાવે છે. તેમજ આપાગીગા ઓટલાના મહતં નરેન્દ્ર બાપુ સાથે સેવાકીય કાર્યમાં જોડાયેલો હતો.


લાલજીભાઇના પરિવારજનોએ કરેલા આક્ષેપો

લાલજીભાઇના પરિવારજનોએ કરેલા આક્ષેપ મુજબ, પુત્રવધુ તૃષાબેનને સામાકાંઠા વિસ્તારમાં રહેતા કૌટુંબિક ભત્રીજા વિશાલ મહેશભાઇ ગોહેલ સાથે સંબંધો હોય જેની જાણ પતિને થયા બાદ પતિ પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડા ચાલતા હતાં. એટલું જ નહીં તૃષાબેન પતિથી અલગ સમેત શિખર એપાર્ટમેન્ટમાં સહેલી પૂજા સોનીના ઘરે દોઢ માસથી રહેતા હતાં.


પૂજા અને સોનકી સાથે રહેવા ચાલી ગઈ હતી

ગોળીબારીના આ બનાવમાં ઘવાયેલા તૃષાબેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ગાંધીગ્રામ પોલીસ દ્રારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. વલોપાત કરતા મૃતકના માતા-પિતા અને બહેને આક્રોશ સાથે જણાવ્યું હતું કે, પુત્રવધુને વિશાલ સિવાય પણ કેટલાક વ્યકિતઓ સાથે સંબંધો હતા. એક વર્ષથી વિશાલ સાથે તેને અફેર હતું. મારા ભાઈને દોઢ મહિના પહેલા જ ખબર પડી હતી. ત્યારે બંને વચ્ચે ખુબ ઝગડાઓ થતા હતા અને અમે વારંવાર સમજાવવા માટે આવતા હતા પરંતુ પુત્રવધુ માનતી ન હોય અને સામેના એપાર્ટમેન્ટમાં રહેતી સહેલી પૂજા અને સોનકી સાથે રહેવા ચાલી ગઈ હતી. 


બહેનપણીઓને પણ મારા દીકરાના પૈસા ખાઈ જવા હતા

સહેલીઓ અને પ્રેમી વિશાલ તૃષાને ચઢામણી કરતા હોવાથી એ મારા દીકરાના ઘરે આવવા તૈયાર થતી નહતી. બહેનપણીઓને પણ મારા દીકરાના પૈસા ખાઈ જવા હતા. મારો ભાઈ કેટલી વાર ભાભી પાસે ગયો હતો અને હાથ પગ જોડા હતા અને કહ્યું હતું કે, જે થયું તે તું પાછી ઘરે આવી જા, આપણા દીકરાનો પણ ભવિષ્ય બગડે છે. પરંતુ ભાભી ઘરે ન આવતા અંતે ભાઈએ કંટાળી પગલું ભયુ ને તેનો જીવ લીધો છે. વધુમાં મૃતકની બહેને કહ્યું હતું કે, બંને બહેનપણીઓ, પ્રેમી વિશાલ અને ભાભી તૃષાને આકરી સજા કરવામાં આવી નહિતર મારાભાઈના આત્માને શાંતિ નહીં મળે.


પત્ની–ભત્રીજાને લવ ગાર્ડનમાં પકડ્યા'તા

પ્રણય ત્રિકોણના લોહિયાળ અંજામની ઘટનામાં કેટલીક ચોંકાવનારી વિગતો પરિવારજનો પાસેથી જાણવા મળી હતી જેમાં જણાવ્યું હતું કે, તૃષાના વાણીવર્તન અને રહેણી કહેણી કેટલાક સમયથી ફરી જતા પતિ લાલજીભાઈને શંકા જતાં પત્ની ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન તા.૪–૧૦ના તૃષા કોઈ બહાનું કરી બહાર ગઈ હતી અને લાલજીભાઈએ પીછો કરતા પત્ની તૃષા અને સામાકાંઠે રહેતો ફઇના દીકરાનો દીકરો વિશાલ બંને લવ ગાર્ડનમાં પ્રેમના ગુલ ખીલવતા હતા ત્યાં પતિ લાલજીભાઈ પહોંચી દૂરથી મોબાઈલમાં ફોટા પાડી લઈ બંનેને રંગે હાથે ઝડપ્યા હતા. ત્યારથી ઝગડો શરૂ થયો હતો.


સહેલી પૂજાના પુત્રને ફ્લેટવાસીઓએ લમધાર્યો

સમગ્ર લોહિયાળ ઘટના જે સ્થળે બની એ શિખર અપાર્ટમેંન્ટમાં તુષા સહેલી પૂજા સોની અને સોનકી સાથે દોઢેક મહિનાથી રહેતી હતી. બનાવની જાણ થતા મૃતક લાલજીના પરિવારજનો સહિતના ત્યાં પહોંચી ગયા હતા. સહેલી પૂજા અને સોનકી બંને સહેલી તૃષાને ગોળી વાગવાથી સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા. ત્યારે પાછળ પૂજાનો પુત્ર ઘરે હોય જે બહાર નીકળતા મૃતકના પરિવારજનો અને ફ્લેટવાસીઓએ આ બધું માં દીકરો જ બધાના ઘર ભંગાવે છે તેવો રોષ વ્યક્ત કરી લમધાર્યો હતો. હાજર પોલીસે તેને છોડાવી પોલીસ મથકે લઈ ગયા હતા.


જેના કારણે લોહિયાળ જગં ખેલાયો એ વિશાલ એક સંતાનનો પિતા

કૌટુંબિક કાકા–કાકી વચ્ચેના સુખી લગ્ન જીવનમાં કૌટુંબિક ભત્રીજો વિશાલ સામાકાંઠે રહે છે અને પરિણીત છે. તેમજ એક સંતાનનો પિતા છે, પોતાને ચાંદી કામની દુકાન છે. મૃતકનો સગ્ગા ફઈબાના દીકરાનો દીકરો થતો હોવાથી અવાર-નવાર આવ-જા રહેતી હતી. બંને વચ્ચે મિત્રત્તા વધતા ફોન-મેસેજમાં સતત વાતચીત કરતા હતા. બંને વચ્ચે એટલો સબધં ગાઢ થઈ ગયો હતો કે, પત્ની તૃષા પતિ અને દીકરાની ચિંતા કર્યા વગર છોડીને ચાલી ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application