જામનગર: આ ડામર રોડ નથી, કેનાલ છે
નાગનાથ નાકાની આ કેનાલમાં હજૂ સુધી પ્રિ મોન્સુન કામગીરી કરવામાં આવી નથી: જયારે ભારે વરસાદ પડે છે ત્યારે પાણી બહાર આવે છે
જામનગર મહાપાલિકા દ્વારા પ્રી-મોન્સુન કામગીરી ચાલી રહી છે, લાખો પિયાના ખર્ચે શ થયેલી પ્રી-મોન્સુન કામગીરી કેવી થાય છે, આ કામગીરીના ચીથરા ઉડી રહ્યા છે, કેટલીક કેનાલો હજુ સુધી સાફ થઇ નથી, નાગનાથ ગેઇટ ચોકડી મોટી વાસ ચોકડી કેનાલની આ તસ્વીર છે, આ તસ્વીર ઘણુ બધું કઇ જાય છે હજુ પણ કેનાલ કચરા અને ગારાથી ભરેલી છે, ચોમાસાને માત્ર થોડા દિવસ બાકી છે ત્યારે આ કેનાલ સાફ ન થતા લોકોમાં પણ કચવાટની લાગણી જન્મી છે. પ્રીમોન્સુનની કામગીરી અંગે દર વર્ષે અનેક સવાલો ઉઠતા હોય છે, આ વખતે પણ કામગીરી નબળી થઇ રહી છે તેવા આક્ષેપો ખુદ શાસક પક્ષના કોર્પોરેટરો કરી રહ્યા છે.
કયાંક ભુગર્ભ ગટર છલકાય છે, તો કયાંક પ્રીમોન્સુનની કામગીરી ન થવાને કારણે પાણી ભરાવાથી તીવ્ર વાસ આવે છે. જામનગરની તમામ કેનાલો અમે ઝડપથી સાફ કરીશું તેવી જાહેરાત કરનારા કોર્પોરેશનના અધિકારીઓએ કોન્ટ્રાકટર પાસેથી કડક હાથે કામ લેવુ જોઇએ તેમ લોકો કહી રહ્યા છે. વધુ આ કામગીરી ૫૦ થી ૫૫ ટકા થઇ હોવાનું બહાર આવ્યું છે પરંતુ કોર્પોરેશનના ચોપડે તો ૮૦ ટકા થઇ હોવાનું દર્શાવવામાં આવ્યુ છે, નવોદિત પદાધિકારીઓ પણ આવી કામગીરી અંગે ચિંતિત બન્યા છે, ગઇકાલે બે ત્રણ અધિકારીઓને ફોન પણ કરાયા હતા. જો પદાધિકારીઓ ઓચિંતી કેનાલ ચેકીંગ કરવાની કાર્યવાહી કરે તો કેટલુક ભોપાળુ બહાર આવે તેવી શકયતા છે, હાલ તો નવોદિત શાસકોએ પ્રીમોન્સુનની કામગીરી ઝડપથી અને ચોખ્ખી થાય એ માટે અધિકારીઓને કડક સુચના આપવી જોઇએ.