જામનગર: ફાયર સેફટીનાં નિયમોનો ભંગ કરનારા ફાસ્ટ ફુડના ત્રણ રેસ્ટોરન્ટ સીલ
બીયુ સર્ટીફીકેટ, ફાયર એનઓસી માટે પંદર દિવસનો સમય અપાયો
જામનગર મહાપાલિકાની ફાયર શાખા દ્વારા છેલ્લા બે ત્રણ દિવસથી હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યવસાયિક એકમોમાં ચેકીંગ કરીને ફાયર એનઓસી તેમજ બીયુ સર્ટીફીકેટ છે કે કેમ તે અંગે તપાસણી કરતા વધુ ત્રણ રેસ્ટોરન્ટનાં સંચાલકો પાસે ફાયર સેફટીના પૂરતા પુરાવા ન હોય, આ ત્રણેય રેસ્ટોરન્ટ સીલ કરી દેવામાં આવ્યા છે.
જાણવા મળતી માહિતી મુજબ અંબર ચોકડી પાસે આવેલી ફાસ્ટફુડના રેસ્ટોરન્ટ તેમજ હોટલમાં ચેકીંગ કરાયુ હતું ગઇકાલે ૧૧ જેટલી હોટલો અને રેસ્ટોરન્ટ ચેક કરાયા હતા જેમાં બાસીલ પીઝા, અંકલ ડોનાલ્ડ પીઝા, નોટ જસ્ટ ફુડ નામની ત્રણ રેસ્ટોરન્ટને સીલ કરી દેવામાં આવ્યા હતા. બે અઠવાડિયામાં ફાયરના નિયમોનો ભંગ કરનારા અને બીયુ સર્ટી. ન મેળવનારા ૩૩ હોટલો અને રેસ્ટોરન્ટને સીલ કરી દેવામાં આવ્યા છે.
જે હોટલ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યા છે તેમના સંચાલકોને ૧૫ થી ૩૦ દિવસનો ટાઇમ અપાયો છે જેમાં કેટલાક સંચાલકોએ રૂ.૩૦૦ના સ્ટેમ્પ પર ફાયર સેફટી અને બીયુ સર્ટી. મેળવી લેશુ તેવી બાંહેધરી આપતા કેટલાકના સીલ ખોલી દેવામાં આવ્યા હતા.
આમ હાલ તો શહેરમાં મ્યુ.કમિશનર દીપેશ કેડીયાની સુચનાથી અને ફાયરનાં ઇન્ચાર્જ ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ હાઇવે પરની હોટલ અને રેસ્ટોરન્ટ તેમજ શહેરમાં પણ ચેકીંગની કાર્યવાહી ચાલી રહી છે.