દ્વારકા: કલ્યાણપુર પંથકમાં દંગડા પથ્થર ભરીને નીકળેલા ટ્રક ચાલક સામે ગુનો
બોગસ રોયલ્ટી ચલણ સાથે હોવાનું ખુલ્યુ
ખંભાળિયામાં શ્રીજી સોસાયટીમાં રહેતા અને મૂળ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના રહીસ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કે.આર. પટેલ નામના અધિકારી તેમની ફરજ પર હતા, ત્યારે કલ્યાણપુરથી આશરે ૧૬ કિલોમીટર દૂર રાવલ - અડવાણા માર્ગ પર ખનીજ (દંગડા) પથ્થર ભરીને નીકળેલા એક ટ્રકને અટકાવી ચેકિંગ કરવામાં આવતા આ ટ્રકમાં જઈ રહેલા આરોપી રામજી રામશીભાઈ વાઘેલા અને રાકેશ રામજીભાઈ વાઘેલાએ પોતાના ટ્રકમાં બિનઅધિકૃત રીતે ૨૩.૭૧ મેટ્રિક ટન લાઈમ સ્ટોન (ખનીજ) નો જથ્થો લઈને નીકળ્યા હોવાનું ખુલવા પામ્યું હતું.
આ ખનીજ અંગે આરોપી પાસે જરૂરી આધાર પુરાવાઓ માંગવામાં આવતા આરોપીએ અગાઉના રોયલ્ટી ચલણમાં ફેરફાર કરી અને બનાવટી રોયલ્ટી દ્વારા પોતાને આર્થિક ફાયદો મેળવવા માટે ખોટો દસ્તાવેજ ઊભો કરીને ઠગાઈ કરવાના ઇરાદે આ રોયલ્ટી ચલણ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ટ્રકમાં અસલ રોયલ્ટી કરતાં અલગ વજન અને સ્થળેથી ખનીજ ભરી અને અનઅધિકૃત રીતે વહન કરી ટ્રક તથા લિઝ ધારકે ઇસ્યુ ન કર્યું હોય તેવા પાસ બતાવી એડિટિંગ કરી આ ડીલીવરી ચલણ રજૂ કરવામાં આવ્યું હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આને અનુલક્ષીને કલ્યાણપુર પોલીસે રોયલ્ટી ઇન્સ્પેક્ટર કલરાજ પટેલની ફરિયાદ પરથી બંને આરોપીઓ પોરબંદર તાલુકાના મિયાણી ગામના રામજી રામસી વાઘેલા અને રાકેશ રામજી વાઘેલા સામે બી.એન.એસ.ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. યુ.બી. આખેડ દ્વારા હાથ ધરવામાં આવી છે.