ખંભાળીયા લોહાણા સમાજ દ્વારા જલારામ જયંતિ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
સમગ્ર ગુજરાતમાં ગઇકાલે સંત શિરોમણી પ.પૂ.શ્રી જલારામ બાપાની રર૬મી જન્મજયંતિનિી ઉજવણી કરવામાં આવી હતી, તેમજ સૌરાષ્ટ્ર સહિત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઠેર ઠેર ઉજવણીના કાર્યક્રમો યોજાયા હતા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સલાયા, દ્વારકા તેમજ ખંભાળીયામાં બાપાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઇ હતી, ખંભાળીયા ખાતે વ્હેલી સવારથી જ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જલારામ બાપાના મંદિરે શણગાર કરવામાં આવ્યો હતો, તેમજ ભક્તો દ્વારા બાપા જલારામ અને માં વીરબાઇની વિશેષ રંગોળી પણ બનાવવામાં આવી હતી. તેમજ અન્નકુટનો કાર્યક્રમ પણ યોજાયો હતો, ત્યારબાદ બપોરે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી,
જેમાં લોહાણા સમાજના ટ્રસ્ટીઓ, અગ્રણીઓ, બાળકો, ભાઇઓ તથા બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા, આ કાર્યક્રમમાં જિલ્લાના ડીવાયએસપી તેમજ રઘુવંશી સમાજના ગૌરવ કહી શકાય તેવા વિસ્મય માનસેતા તેમજ ખંભાળીયા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.જે. સરવૈયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાંજે ખંભાળીયા લોહાણા સમાજ દ્વારા બાપાના જન્મજયંતિ મહોત્સવ નિમિતે નાત જમણનું આયોજન કરાયું હતું. જેમાં ખંભાળીયાના મુળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઇ નથવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પરિમલભાઇનું ખંભાળીયા લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા બાપાની પ્રતિમા આપી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. નાત જમણમાં જ્ઞાતિના ભાઇઓ બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.