ન્યૂયોર્કમાં છેલ્લા ૧૦ વર્ષનું સૌથી મોટું વાવાઝોડું અને વરસાદ ત્રાટક્યો છે, જેના કારણે સમગ્ર શહેરમાં કટોકટીની સ્થિતિ (State of Emergency) જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદ અને તેજ પવનોને કારણે દૃશ્યતા (Visibility) એટલી ઘટી ગઈ છે કે વોલ સ્ટ્રીટની ઊંચી ઇમારતો પણ ધુમ્મસમાં ગાયબ થઈ ગઈ હોય તેવું લાગે છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા રવિવાર રાતથી જ રસ્તાઓ અને પુલો બંધ કરી દેવામાં આવ્યા છે.
ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીએ જાહેરાત કરી છે કે રવિવાર રાત્રે 9 વાગ્યાથી સોમવાર બપોરે 12 વાગ્યા સુધી શહેરના તમામ મુખ્ય રસ્તાઓ, હાઈવે અને પુલો બંધ રહેશે. 80 લાખથી વધુની વસ્તી ધરાવતા આ શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવાયો છે. વહીવટીતંત્રે લોકોને અપીલ કરી છે કે જ્યાં સુધી ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું.
કોને મળી છે અવરજવરની છૂટ?
જોકે, શહેરના તમામ વ્યવહારો બંધ હોવા છતાં કેટલીક આવશ્યક સેવાઓને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે:
મેડિકલ સ્ટાફ: ડોક્ટર્સ અને નર્સ.
સુરક્ષા દળો: પોલીસ અને ફાયર ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ.
ઇમરજન્સી વર્કર્સ: વીજળી અને પાણી જેવી પાયાની સેવાઓ સાથે જોડાયેલા કામદારો.
કોઈપણ તબીબી કટોકટીના કિસ્સામાં સામાન્ય નાગરિકોને પણ પરવાનગી આપવામાં આવશે.
સોશિયલ મીડિયા પર 'વર્ક ફ્રોમ હોમ'ની ચર્ચા
ન્યૂયોર્કના નાગરિકોમાં આ તોફાન વચ્ચે સોશિયલ મીડિયા પર આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે મેયર મુસાફરી ન કરવાની સલાહ આપી રહ્યા છે, ત્યારે ખાનગી કંપનીઓ હજુ પણ કર્મચારીઓને ઓફિસ બોલાવવાનો આગ્રહ કેમ રાખે છે? અનેક લોકોએ માંગ કરી છે કે આવી કુદરતી આપત્તિના સમયે 'વર્ક ફ્રોમ હોમ' ફરજિયાત કરી દેવું જોઈએ.
હાલમાં આખું શહેર સફેદ ચાદર અને પાણીના પ્રવાહ વચ્ચે ઘેરાયેલું છે. વહીવટીતંત્ર સતત રસ્તાઓ પરથી કાટમાળ અને બરફ હટાવવાની કામગીરી કરી રહ્યું છે, જેથી સોમવાર બપોર સુધીમાં સ્થિતિ સામાન્ય કરી શકાય.
શું ખતરો છે?
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ભારે પવન સાથે ભારે વરસાદ અને પૂર આવવાનું જોખમ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની આગાહી કરવામાં આવી છે. વીજળી ગુલ થવા અને વૃક્ષો પડવા અંગે ચેતવણી પણ જારી કરવામાં આવી છે. અધિકારીઓએ રહેવાસીઓને જરૂરી ચીજવસ્તુઓનો સ્ટોક રાખવા અને તેમના મોબાઇલ ફોન ચાર્જ રાખવાની સલાહ આપી છે.
સમગ્ર શહેર એલર્ટ પર
શહેરમાં આપત્તિ વ્યવસ્થાપન ટીમો તૈનાત કરવામાં આવી છે. પુલ અને ટનલ પર નજર રાખવામાં આવી રહી છે. જાહેર પરિવહન સેવાઓને પણ અસર થઈ શકે છે. હાલમાં, ન્યૂ યોર્ક વાવાઝોડાથી ક્યારે અને કેટલું નુકસાન થશે તે જોવા માટે રાહ જોઈ રહ્યું છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે: આ કોઈ સામાન્ય ધોધમાર વરસાદ નથી, પરંતુ એક તોફાન જે શહેર લાંબા સમય સુધી યાદ રાખશે.