જામનગરના રામનગરમાં પત્ની રીસામણે ચાલી જતા એકલવાયુ જીવન જીવતા યુવાને આ બાબતનું મનમાં લાગી આવતા ગળાફાંસો ખાઇને જીવતર ટુકાવી લીધુ છે. જયારે ડીફેન્સ કોલોનીમાં ફેફસા, બીપી સહિતની બિમારીગ્રસ્ત વૃઘ્ધ બિલ્ડીંગના બીજા માળેથી નીચે પડી જતા ઇજા સબબ મૃત્યુ નિપજયુ છે.
જામનગરના ખોડમીલના ઢાળીયે રામનગર વિસ્તારમાં રહેતા બ્રિજરાજસિંહ ઉર્ફે લાલો કિરીટસિંહ પરમાર (ઉ.વ.૩૫) નામના યુવાનના પત્ની છેલ્લા છ મહીનાથી તેના બંને દિકરાઓને લઇને રીસામણે જતી રહી હોય જેથી તેઓ એકલવાયુ જીવન જીવતા હોય જે બાબતનું મનમાં લાગી આવ્યુ હતું.
આથી બ્રિજરાજસિંહે ગઇકાલે પોતાના ઘરે છતના હુંકમાં ખાટલા ભરવાની પ્લાસ્ટીકની પાટી વડે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ થયુ હતું, આ બનાવ અંગે રામનગર વિસ્તારમાં રહેતા મુન્નીબા ભરતસિંહ પરમાર દ્વારા સીટી-બી ડીવીઝનમાં જાણ કરવામાં આવતા પીએસઆઇ કે.એન. જાડેજા દ્વારા બનાવ સબંધે તપાસ ચલાવવામાં આવી રહી છે.
અન્ય બનાવમાં જામનગરના ડીફેન્સ કોલોની રામ મંદિર પાછળ રહેતા નિવૃત જીવન જીવતા ગણેશભાઇ લખજીભાઇ પાટીલ (ઉ.વ.૬૭)ને ફેફસા તેમજ શ્ર્વાસ અને બીપી સહિતની બિમારી હોય જેના કારણે રાત્રીના તેની બિલ્ડીંગના બીજા માળેથી નીચે પડી જતા ઇજાઓ સબબ મૃત્યુ નિપજયુ હતું, આ અંગે ડીફેન્સ કોલોનીમાં રહેતા ગૌતમ ગણેશભાઇ પાટીલ દ્વારા સીટી-સી ડીવીઝનમાં જાણ કરાતા પોલીસ દ્વારા બનાવ સબંધે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.