સીમર ગામે જુના મનદુ:ખમાં બે પરિવાર વચ્ચે થઇ મારામારી

  • May 17, 2025 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર નજીકના સીમર ગામે જુના મનદુ:ખમાં બે પરિવાર વચ્ચે સશસ્ત્ર મારામારી થતા સામસામી પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
સીમર ગામે પાણીના ટાંકા સામે રહેતા વિમલેશ ડાયાભાઇ પરમાર નામના કડિયાકામની મજૂરી કરતા યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સાંજે તે તથા તેના પરિવારના સભ્યો ફળિયામાં બેઠા હતા અને ત્યારબાદ કોઇ કામસર વિમલેશ અને તેની માતા લાખીબેન  રોડના  કાંઠે આવેલ પાણીના ટાંકા પાસેથી આવતા હતા ત્યારે તેમના કૌટુંબિક બાપુજીના કાકાના દીકરા સુરેશ ચના પરમાર હાથમાં તલવાર લઇને આવ્યો હતો અને વિમલેશ તથા તેના માતા લાખીબેનને ગાળો બોલવા લાગ્યો હતો તથા લાખીબેનના પગમાં અને વિમલેશના ખભા ઉપર તલવાર વડે હુમલો કરી દીધો હતો. એ દરમ્યાન સુરેશનો મોટો ભાઇ કુહાડી ફેરવતો ફેરવતો આવ્યો હતો અને ગાળો દઇને ડરાવવા લાગ્યો હતો. ડખ્ખો થતા ફરિયાદીના મોટાભાઇ અજય અને કાકા વિનેશભાઇ ત્યાં છોડાવવા માટે આવ્યા હતા તે દરમ્યાન આરોપી સુરેશના પિતા ચના માલદે પરમાર પણ લાકડી લઇને આવ્યા હતા અને લાકડી ઉગામવા લાગ્યા હતા તથા ગાળો બોલવા લાગ્યા હતા એ દરમ્યાન પાનની દુકાનવાળા ભાઇએ પોલીસ અને ૧૦૮ને જાણ કરતા બંને આવી પહોંચ્યા હતા. ત્યારબાદ વિમલેશ અને તેના માતા લાખીબેનને તલવારના લીધે ઇજા થઇ હોવાથી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે અને વિમલેશે સુરેશ ચના પરમાર, સાગર ચના પરમાર તથા ચના માલદે પરમાર સામે ગુન્હો દાખલ કરાવ્યો છે જેમાં એવું કારણ જણાવ્યુ છે કે ફરિયાદીના વિમલેશના પિતા ડાયાભાઇ અને કાકા વિનેશભાઇને એક દિવસ પહેલા સુરેશ ચના પરમાર સાથે બોલાચાલી અને ગાળાગાળી થઇ હતી તેનું મનદુ:ખ રાખીને આ હુમલો થયો છે.
ક્રોસ ફરિયાદ
સામાપક્ષે સાગર ચનાભાઇ પરમાર નામના મૂળ સીમર તથા હાલ જામનગર ખાતે હોટલમાં મેનેજર તરીકે કામ કરતા યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે  તે જામનગરથી સીમર ખાતે આંટો મારવા માટે આવ્યો ત્યારે સાંજે સાડાપાંચ વાગ્યા આસપાસ ફરિયાદી સાગર અને તેનો નાનોભાઇ સુરેશ તથા માતા-પિતા ફળિયામાં બેઠા હતા ત્યારે બાજુમાં આવેલી મેડી ઉપરથી પાડોશમાં રહેતા વિમલેશ ડાયા પરમારે ફળિયામાં તલવારનો ઘા કર્યો હતો એટલે સાગર અને તેનોભાઇ સુરેશ એ તલવાર લઇને ઘરનીબહાર રોડ પર આવતા વિમલેશ ડાયા પરમાર, અજય ડાયા પરમાર  એમ બંને ભાઇઓ લોખંડના પાઇપ લઇને આવી પહોંચ્યા હતા  અને સાગરને ગાળો દઇને‘કાલે શું માથાકૂટ કરી હતી?’ કહીને માર માર્યો હતો અને સાગરના  ભાઇ સુરેશને પથ્થરના છૂટા ઘા માર્યા હતા. એ દરમિયાન વિનેશ પરબત પરમાર પણ લાકડી લઇને આવ્યો હતો અને ફરિયાદી સામે લાકડી ઉગામીને ડરાવતો હતો. એ દરમિયાન પોલીસને જાણ કરી દેતા પોલીસ આવે તે પહેલા ત્રણે ઇસમો ‘હવે પછી કંઇ કહ્યુ કે અહીં દેખાણા  તો ગામ મુકાવી દેશું’ તેમ કહીને ધમકી આપી હતી. જેથી સાગર  પરમારે વિમલેશ ડાયા પરમાર, અજય ડાયા પરમાર અને વિનેશ પરબત પરમાર સામે ગુન્હો દાખલ કરાવ્યો છે.  જેમાં જુનુ મનદુ:ખ કારણભૂત ગણાવવામાં આવ્યુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application