વહિવટદારે અંગત ઉપયોગમાં રકમ વાપરી છેતરપીંડી કરી : જામનગરના શખ્સ સામે ફરીયાદ
જામનગર નજીક મોટી બાણુંગાર પાસે પેટ્રોલીયમની સંયુકત ભાગીદારીની પેઢીના વહિવટદાર દ્વારા હિસાબમાં ગોટાળા કરીને રાુ. ૨૮.૨૪ લાખની ઉચાપત કર્યાનો મામલો પોલીસમાં પહોચ્યો છે, જામનગરના એક શખ્સ અને તપાસમાં જે ખુલે તેની સામે છેતરપીંડી કર્યાની ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામમાં રહેતા ખેતીકામ કરતા કુંવરજી અમૃતલાલ ભેસદડીયા (ઉ.વ.૫૨) એ ગઇકાલે પંચકોશી-એ માં જામનગર રહેતા તીર્થરાજસિંહ કાળુભા પરમાર તથા તપાસમાં ખુલે તેની સામે બીએનએસ કલમ - ૩૧૬ (૨), ૩૧૬ (૫) મુજબ ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદીની સંયુકત ભાગીદારીની પેઢીમાં આરોપી ભાગીદાર હોય તેમજ આ પેઢીમાં ગત તા. ૧-૪-૨૪થી વહિવટદાર તરીકે નિમાયેલ હોય જેઓએ પોતાના વહિવટી સમયગાળા દરમ્યાન પેઢીના હિસાબના કુલ રાુ. ૧,૭૮,૪૫,૭૧૨ નફા સાથેની મુડીમાંથી આરોપી તીર્થરાજસિંહે આપેલ હિસાબ રાુ. ૧,૫૦,૨૧,૩૨૯ નો હોય જે પૈકી રાુ. ૨૮,૨૪,૩૮૩ ની મુડી પેઢીમાં હોવી જોઇએ જે ન હોય અને તેણે પેઢીનો હિસાબ આપવા માટે કાયદેસરના બંધાયેલ હોય તેમ છતા તેણે પુર્ણ હિસાબ નહી આપી પેઢીના અન્ય ભાગીદારો સાથે છેતરપીંડી કરી હતી. તેમજ નાણાની પોતાના અંગત ઉપયોગ માટે વાપરી ઉચાપત આચરી છે. આથી મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો હતો જે ફરીયાદના આધારે પંચ-એના પીઆઇ શેખ અને સ્ટાફ તપાસ ચલાવી રહયા છે.
વધુમા જાણવા મળ્યા મુજબ જામનગર-રાજકોટ હાઇવે બાણુંગારના પાટીયા પાસે ભાગીદારીમાં શિવશકિત પેટ્રોલીયમ નામથી પેટ્રોલપંપ ચાલુ કર્યો હતો એ પછી અમુક ભાગીદારો છુટા થતા ફરીયાદીના ઓળખીતા અને અન્ય અલગ અલગ ટકાવારી પ્રમાણે ભાગીદારો નકકી કર્યા હતા આ અંગે ગુલાબનગર બેંકમાં પેઢીનુ ખાતુ ખોલાવ્યુ હતું અને આ પેઢીનો વહિવટ ભાગીદારોના સર્વાનુમતે તીર્થરાજસિંહ પરમારને સોપેલો હતો.
આથી તીર્થરાજસિંહ પંપ માટે પેટ્રોલ-ડીઝલ મંગાવવુ તેમજ માણસોના પગાર કરવા અને આવક જાવકનો હિસાબ રાખવો આમ પેઢીની બેન્ક દ્વારા થતો તમામ વહિવટ તેમના હસ્તક થતો હતો પરંતુ વહિવટમાં પારદર્શીતા ન હોય હિસાબ ભુલ ભરેલ હોય જેથી ભાગીદારો દ્વારા નકકી થયા મુજબ હિસાબ બાબતે રકમની ઘટ આવતી હોય જેથી અરજી કરવામાં આવી હતી જે તપાસમાં વિગતો ખુલી હતી.