જૂનાગઢના ચકચારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર: સાક્ષીઓની જુબાની, સમાધાનને ધ્યાને રાખી સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો

  • August 25, 2026 07:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે રાજુ સોલંકીના પુત્રને માર મારવાના અને અપહરણ કરવાના બહુચર્ચિત કેસમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે આ કેસમાં સાક્ષીઓની જુબાનીઓ અને બંને પક્ષો વચ્ચે થયેલા આંતરિક સમાધાનને ધ્યાનમાં રાખીને તમામ આરોપીઓને તમામ આરોપોમાંથી દોષમુક્ત કરવાનો મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે.


આ ઘટનાની વિગત મુજબ, ગત ૩૦ મે ૨૦૨૫ના રોજ જૂનાગઢ શહેરના દાતાર રોડ પર રાજુ સોલંકીના પુત્ર સાથે કાર ચલાવવા બાબતે માથાકૂટ થઈ હતી. પોલીસમાં નોંધાયેલી મૂળ ફરિયાદ અનુસાર, દેવાંગ સોલંકીનું ગાડીમાં બળજબરીપૂર્વક અપહરણ કરી તેને ગોંડલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને ઢોર માર મારીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, તેને જાતિ વિષયક અપશબ્દો કહીને અપમાનિત કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ હતો. આ ચકચારી ઘટના બાદ જૂનાગઢ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગણેશ જાડેજા અને તેના સાથીદારો સામે આઈપીસીની ગંભીર કલમો તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


ગુનો નોંધાયા બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગણેશ જયરાજસિંહ જાડેજા, જશપાલસિંહ ઉર્ફે જે.કે. રાણા, ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઈન્દુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ ઉર્ફે પુથુભા જાડેજા, દિગપાલસિંહ ઉર્ફે દિગુભા જાડેજા, સમીર ઉર્ફે પોલાસ, અકરમ તર્કવાડીયા અને રમીશ પઠાણ સહિત કુલ ૧૧ આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઘટનાના તાર સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પાડી રહ્યા હતા, જેના કારણે તમામ આરોપીઓને લાંબા સમય સુધી જેલવાસ ભોગવવો પડ્યો હતો.


આ કેસની સુનાવણી જ્યારે જૂનાગઢની સેશન્સ કોર્ટમાં ચાલી રહી હતી, તે દરમિયાન જ ફરિયાદી રાજુ સોલંકી અને આરોપી પક્ષ વચ્ચે આંતરિક સમજૂતી થઈ ગઈ હતી. કાનૂની કાર્યવાહી દરમિયાન ફરિયાદી દેવાંગ સોલંકી તેમજ કેસના મુખ્ય સાક્ષીઓએ અદાલત સમક્ષ પોતાની જુબાની રજૂ કરી હતી, જેમાં તેમણે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હોવાની બાબતને સત્તાવાર રીતે સમર્થન આપ્યું હતું અને આરોપીઓ સામેના આરોપોને ટેકો આપ્યો નહોતો.


આખરે, જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે કેસની તમામ કાનૂની પરિસ્થિતિઓ, સાક્ષીઓની ફરી ગયેલી જુબાનીઓ તેમજ પક્ષકારો વચ્ચે થયેલા સમાધાનના આધારે ચુકાદો આપ્યો હતો. કોર્ટે અવલોકન કર્યું હતું કે આરોપીઓ સામે ગુનો પૂરવાર કરવા માટે પુરતા પુરાવા કે સાક્ષીઓનો ટેકો મળતો નથી, જેના આધારે ગણેશ ગોંડલ સહિત તમામ ૧૧ આરોપીઓને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News