BREAKING NEWS

12 સિંહો સ્વસ્થ થતા ગીરના જંગલમાં ફરી છોડાયા, હજુ 5 સાવજ ઓબ્ઝર્વેશન હેઠળ

  • June 05, 2026 01:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના ગીર જંગલમાંથી મળેલા સમાચારથી રાહત મળી છે. શંકાસ્પદ સીડીવી અને બેબીસિઓસિ વાયરસને કારણે તાજેતરમાં સિંહોના મોતથી વન વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. આથી વન વિભાગ દ્વારા શંકાસ્પદ લક્ષણો ધરાવતા 17 સિંહોને એનિમલ કેર સેન્ટરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા હતા. જેમાંથી 11 સિંહો સ્વસ્થ થતા જંગલમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યા છે. જ્યારે છ સિંહો હજુ ઓબ્ઝર્વેશન હેઠળ છે.


તાજેતરમાં ગીરના જસાધાર અને બાબરિયા રેન્જમાં આઠ સિંહોના મૃત્યુથી ખળભળાટ મચી ગયો હતો. પ્રારંભિક તપાસમાં શંકા હતી કે મૃત્યુ સીડીવી અને બેબીસિઓસિ નામના વાયરસને કારણે થયા છે. જ્યારે મામલો વધુ વકર્યો, ત્યારે વન વિભાગ સક્રિય થયું અને એક વિશાળ બચાવ કામગીરી શરૂ કરી હતી. કુલ 17 સિંહોને પકડી લેવામાં આવ્યા અને જસાધાર અને જામવાળામાં બે અલગ અલગ એનિમલ કેર અને રેસ્ક્યુ સેન્ટરોમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હતા. તે સમયે, સમગ્ર તંત્ર એક જ પ્રશ્ન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હતું શું બાકીના સિંહો પણ જોખમમાં હતા?


ઘણા દિવસોની દેખરેખ, તબીબી તપાસ અને સારવાર પછી વન વિભાગે હવે 17 સિંહોમાંથી 11 સંપૂર્ણપણે સ્વસ્થ થયાનું જાહેર કર્યું છે. તેમને જંગલમાં પાછા મુક્ત કરવામાં આવ્યા છે. જસાધાર જંગલમાંથી ચાર સિંહોને મુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે સાતને જામવાળા સેન્ટરમાંથી જંગલમાં પાછા મોકલવામાં આવ્યા હતા. આમાં જામવાળા સેન્ટરમાં બે પુખ્ત સિંહ અને એક સિંહબાળ તેમજ જસાધાર સેન્ટરમાં બે સિંહબાળ અને એક સિંહણ એમ છ સિંહો હજુ ઓબ્ઝર્વેશન હેઠળ છે. બધા હાલમાં તબીબી દેખરેખ હેઠળ છે. વન વિભાગ જણાવે છે કે તેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થયા પછી જ તેમને છોડી મૂકવામાં આવશે.


વન વિભાગના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ હવે પહેલા કરતાં ઘણી સારી છે. ડીસીએફએ પણ પુષ્ટિ આપી છે કે જે સિંહો સ્વસ્થ હતા તેમને ફરીથી જંગલમાં છોડી દેવામાં આવ્યા છે. જો કે, એ પણ સ્પષ્ટ છે કે દેખરેખ હજુ પૂરી થઈ નથી. આ સમગ્ર મામલાનું મૂળ એ જ આઠ સિંહોના મૃત્યુ છે જેણે સમગ્ર ગીર ઇકોસિસ્ટમને હચમચાવી નાખ્યું હતું. પ્રારંભિક તપાસમાં ચેપ લાગવાની શંકા છે, પરંતુ અંતિમ કારણ હજુ સ્પષ્ટ નથી. ગીરમાં 11 સિંહોનું પરત ફરવું ચોક્કસપણે રાહતની વાત છે, પરંતુ છ સિંહો દેખરેખ હેઠળ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application