રાજકોટના રેસકોર્સ મેદાનમાં ચાલી રહેલા બાબા બાગેશ્વર (ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી)ના દિવ્ય દરબાર અને હનુમાન કથાને લઈને છેલ્લા ત્રણ દિવસથી ભારે ઉત્તેજના વ્યાપેલી છે. અંધશ્રદ્ધા વિરુદ્ધ અવાજ ઉઠાવનારાઓ અને બાબાના સમર્થકો વચ્ચે સોશિયલ મીડિયાથી શરૂ થયેલો જંગ આજે કથાના અંતિમ દિવસે પોલીસ સ્ટેશનના દરવાજા સુધી પહોંચી ગયો છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા નીકળેલા એક આલોચકને બાબાના દરબાર સુધી પહોંચવા જ ન દેવાયા.
રાજકોટમાં બાબા બાગેશ્વરની કથાના અંતિમ દિવસે હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને અંધશ્રદ્ધાનો અખાડો ગણાવીને પડકાર ફેંકનાર વિજ્ઞાન જાથાના અગ્રણી પુરુષોત્તમ પીપળીયા આજે પોતાના પ્રશ્નોની ચિઠ્ઠી સાથે બાબાના દરબારમાં જવા રવાના થયા હતા. જોકે, તેઓ કથા સ્થળે પહોંચે તે પહેલાં જ ઘરની બહાર પહેરો ભરી રહેલી પોલીસે તેમની અટકાયત કરી બોલેરો ગાડીમાં બેસાડી દીધા હતા.
"મને પડકારે પણ છે અને રોકે પણ છે" - પીપળીયાની વહીવટી તંત્ર સામે નારાજગી
પોલીસ અટકાયતનો ભોગ બન્યા બાદ પુરુષોત્તમ પીપળીયાએ તંત્ર અને કથાના આયોજકો પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આ તંત્રની બેવડી નીતિ છે.
મૂળભૂત અધિકાર પર તરાપ: બંધારણ મુજબ દેશના દરેક નાગરિકને અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠાવવાનો અધિકાર છે. બાબાના મંચ પરથી મને દરબારમાં આવવાનો પડકાર અપાય છે અને જ્યારે હું જાઉં છું ત્યારે પોલીસ મને અટકાવે છે.
પોલીસ પ્રોટેક્શનનો ઇનકાર: "જો અંધશ્રદ્ધા ફેલાવનારાઓને પોલીસ રક્ષણ મળી શકતું હોય, તો તેનો પર્દાફાશ કરનાર તર્કવાદીને કેમ નહીં? મેં સુરક્ષા માંગી હતી પણ મારી અરજી રદ કરી દેવાઈ. આ અટકાયત પાછળ રાજકીય દબાણ છે. હું ત્યાં કોઈ તોફાન કરવા નહીં, માત્ર સવાલો પૂછવા જતો હતો."