જામનગરની ૧૪ વર્ષની તરૂણીનું હાર્ટ એટેકથી મોત
રાજકોટના અનંતા રિસોર્ટમાં પરિવાર સાથે આવેલી : પરસોત્તમ માસ હોવાથી પરિવારનો જમણવાર રાખ્યો હતો : રાત્રીના બાળકો સાથે રમતી વખતે એકાએક ઢળી પડી : ઘેરા શોકની લાગણી
રાજકોટ-જામનગર હાઇવે પર આવેલા અંનતા રિસોર્ટમાં પરિવાર સાથે જમવા આવેલી જામનગરની ૧૪ વર્ષીય તરુણી રમતા રમતા એકાએક ઢળી પડતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો હતો. બનાવના પગલે પોલીસે પીએમ કરાવતા તરુણીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું સામે આવ્યું હતું.
યુવાનો બાદ વધુ એક વખત તરુણવયે હાર્ટ એટેકથી મૃત્યુ થયાનો બનાવ સામે આવતા માતા-પિતામાં ચિંતા વ્યાપી છે, જામનગરના ચાંદીબજાર નજીક મોટુ ફળીમાં રહેતા રાજેશભાઈ મોદી ગઈકાલે સવારે પરિવાર સાથે રાજકોટ-જામનગર રોડ પર આવેલા અનંતા રિસોર્ટમાં જમવા માટે ગયા હતા. દરમિયાન તેની આશરે ૧૪ વર્ષીય દીકરી આનંદી પરિવારના બાળકો સાથે રાત્રીના રમતી હતી ત્યારે અચાનક ચક્કર આવતા ઢળી પડતા પરિવારજનો સહિતના દોડી જઈ બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.
જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફ મારફતે ગાંધીગ્રામ પોલીસને જાણ થતા પીએસઆઇ પી.બી.પટેલ સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃત્યુનું કારણ જાણવા પીએમ કરાવ્યું હતું.
મૃતક એક ભાઈ એક બહેનમાં મોટી હતી. અને ધો.૧૦માં આવી હતી. પિતા રાજેશભાઈ સ્ટુડિયોનું કામકાજ કરે છે. પરસોત્તમ માસ હોવાથી ટંકારા રહેતા રાજેશભાઈના સાળાએ જમવાનું આયોજન કર્યું હોવાથી બધા અનંતા રિસોર્ટમાં જમવા માટે આવ્યા હતા દરમિયાન બનાવ બન્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પ્રાથમિક તારણ હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું જણાવ્યું છે. પુત્રીના મૃત્યુથી પરિવારમાં ઘેરો શોક છવાયો છે.