જામનગર જિલ્લામાં કમોસમી વરસાદની રાહત પેકેજ અંતર્ગત અરજીઓ કરવાની મુદ્દત્ત પુરી થઈ છે. આ દરમિયાન જિલ્લાના ૨૩,૮૫૯ ખેડુતોને રૂ.૮૩ કરોડ ૮૨ લાખ ૯૯, ૭૫૯ની રકમની રાહત તેના ખાતામાં જમા કરવામાં આવી છે. ઓક્ટોબર માસના કમોસમી વરસાદને કારણે રાજ્યના ઘણા જિલ્લામાં અને ખાસ કરીને જામનગર જિલ્લાના ખેડુતોના ઉભા પાકને ભારે નુકશાની થઈ ગયાની હકિકતો સામે આવી હતી.
પંચાયતના ખેતીવાડી વિભાગની ૩૩૨ ટીમો દ્વારા જિલ્લાના ૪૧૭ ગામોમાં સર્વે કરીને નુકશાનીનો રીપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો હતો. જે બાદ તંત્રએ ગત નવેમ્બર માસમાં રાહત સહાય મેળવવાની અરજીઓ સ્વીકારવાનું પોર્ટલ દ્વારા શરુ કર્યું હતું. જેની મુદ્દત્ત તા.૫ ડિસેમ્બરે પુર્ણ થતાં જામનગર જિલ્લાના ધ્રોલના ૧૩,૪૧૯ ખેડુતો, જામજોધપુરના ૨૩,૪૧૮ ખેડૂતો. જામનગર સીટીના ૫૩૭ ખેડુતો, જામનગર રૂરલના ૨૯,૫૯૫ ખેડુતો, જોડીયાના ૧૯,૨૯૮ ખેડુતો, કાલાવડના ૩૨,૪૨૬ ખેડુતો તથા લાલપુરના ૨૧,૯૫૪ ખેડુતો મળીને કુલ ૧,૪૧,૩૫૩ ખેડુતોએ રાહત પેકેજ મેળવવા અરજીઓ કરી છે.
જે પૈકીના ૨૩, ૮૫૯ ખેડુતોને રૂ.૮૩, ૮૨, ૯૯, ૭૫૯ની સહાય ચુકવવાની પ્રક્રિયા કરવામાં આવી છે. તેઓના બીલ જનરેટ થઈ ચુક્યા છે, અને રકમો ખાતામાં આવવા લાગી છે. આમ સરકારે તા.૫ના રોજ અરજીનું પોર્ટલ બંધ કરવા સાથે સાથે ચુકવણાની સમાંતર પ્રક્રિયા હાથ ધરીને મહત્તમ ખેડુતોને વહેલામાં વહેલી તકે સહાય પહોંચી જાય. તેવી રીતે કામગીરી કરી છે.