BREAKING NEWS

ગુજરાતમાં રેશનકાર્ડ ધારકોને મોટો ઝટકો: ચોખામાં 2 કિલોનો કાપ, દાળ-ભાત અને ખીચડી પ્રેમીઓનું બજેટ ખોરવાયું

  • September 07, 2026 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ચાલુ સપ્ટેમ્બર મહિનાથી સસ્તા અનાજની દુકાનો પર આપવામાં આવતા રેશનિંગના અનાજમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે રેશનકાર્ડ ધારકોને મળતા ચોખાના જથ્થામાં મોટો કાપ મૂકી દીધો છે. અગાઉ પ્રતિ વ્યક્તિ ૩ કિલો ચોખા આપવામાં આવતા હતા, જેના બદલે હવે માત્ર ૧ કિલો ચોખા આપવાનો નિર્ણય લેવાયો છે. અચાનક કરાયેલા આ ઘટાડાના કારણે રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના લાખો રેશનકાર્ડ ધારકોમાં ભારે રોષ અને નારાજગીની લાગણી વ્યાપી ગઈ છે.

સરકાર દ્વારા ચોખાના જથ્થામાં કરાયેલા ૨ કિલોના ઘટાડા સામે પૌષ્ટિક અનાજને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વ્યક્તિદીઠ ૨ કિલો બાજરી આપવાનું નવું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું છે. અગાઉ પુરવઠા વિભાગ દ્વારા પ્રતિ વ્યક્તિ ૧ કિલો બાજરી આપવામાં આવતી હતી, જે આ મહિનાથી વધારીને ૨ કિલો કરવામાં આવી છે. પરિણામે, ચાલુ મહિને સસ્તા અનાજની દુકાનો પરથી કાર્ડધારકોને ચોખા ખૂબ જ ઓછી માત્રામાં મળી રહ્યા છે, જ્યારે તેની સરખામણીએ ઘઉં અને બાજરીનો જથ્થો વધુ પ્રમાણમાં વિતરીત કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતી પરિવારોના રોજિંદા ખોરાકમાં ચોખાનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ છે. મોટાભાગના ઘરોમાં રોજિંદા ભોજનમાં દાળ-ભાત અને ખીચડી અવિભાજ્ય અંગ ગણાય છે. રેશનકાર્ડ ધારકોનું કહેવું છે કે, દૈનિક વપરાશમાં ઘઉં અને બાજરી કરતાં ચોખાની ખપત ઘણી વધારે હોય છે. સરકારી અનાજમાં ચોખાનો જથ્થો ઘટી જવાથી હવે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને જરૂરિયાત પૂરી કરવા માટે ખુલ્લા બજારમાંથી મોંઘા ભાવે ચોખા ખરીદવાની ફરજ પડી રહી છે. મોંઘવારીના આ સમયમાં બહારથી ચોખા ખરીદવા પડતાં સામાન્ય પરિવારોનું ઘરચલાવ બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.

હાલમાં રેશનિંગની દુકાનો પર અનાજનો નવો જથ્થો પહોંચી ગયો છે અને વિતરણ પણ શરૂ થઈ ગયું છે, પરંતુ મોટાભાગના ગ્રાહકોમાં આ નીતિ સામે અસંતોષ જોવા મળી રહ્યો છે. કાર્ડધારકોનું જણાવવું છે કે વધારાની બાજરી તેમની દૈનિક જરૂરિયાત મુજબ ઉપયોગમાં આવતી નથી. આથી, ગ્રાહકો હવે રેશન દુકાનદારો પાસે બાજરીના બદલે અગાઉની જેમ જ વ્યક્તિદીઠ ૩ કિલો ચોખા આપવાની રજૂઆત કરી રહ્યા છે. સામાન્ય નાગરિકોની માંગ છે કે રાજ્ય સરકાર આ નિર્ણય પર તાત્કાલિક પુનઃવિચાર કરે અને ચોખાનો જૂનો ક્વોટા પુનઃસ્થાપિત કરે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application