ભેસાણના ખંભાળિયા ગામમાં નવી બાઈક ન મળતા 28 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી પરિવાર પર દિવાળીના ટાણે જ આભ ફાટી પડ્યું છે. ખુશીના તહેવારમાં જ પરિવાર પર આઘાત આવી પડ્યો છે.
મળતી માહિતી પ્રમાણે પિતાએ હાલમાં પૈસાની સગવડ નથી પછી લઈ લઈશું એમ કહેતા દીકરાને માઠુ લાગી આવ્યું હતું અને પોતાનો જીવ ટૂંકાવી લીધો. દિવાળીના તહેવાર વચ્ચે બનેલી આ ઘટનાએ પરિવારમાં શોકનો માહોલ ફેલાવ્યો છે.
ઘટનાએ પરિવારને શોકમાં ડૂબાડી દીધો
ભેસાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ખંભાળિયા ગામના રહેવાસી અજયભાઈ ચંદુભાઈ સોલંકી (ઉં.28) નવી બાઈક ખરીદવા માંગતો હતો. તેમણે આ અંગે પોતાના પિતા ચંદુભાઈ સાથે વાત કરી પરંતુ, આર્થિક સંકડામણને કારણે પિતાએ સ્પષ્ટપણે જણાવ્યું કે, હાલમાં પૈસાની સગવડ નથી પછી લઈ લઈશું. આ જવાબથી અજય નિરાશ થયો અને આવેગમાં આવીને ઘરે ગળાફાંસો ખાઈ લીધો. આ ઘટનાએ પરિવારને શોકમાં ડૂબાડી દીધો. આ સમગ્ર મામલે ભેસાણ પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.