રાજકોટમાં વધુ ૬ બાંગ્લાદેશી ઝડપાતા આંકડો ૨૧ થયો

  • May 02, 2025 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટના બાદ દેશભરમાંથી ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને હાંકી કાઢવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાત પોલીસ પણ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી રહી છે. ત્યારે રાજકોટ પોલીસે ગત શનિવારથી આ કામગીરી શરૂ કરી હતી. દરમિયાન પોલીસે શહેરના અલગ-અલગ વિસ્તારમાં ગેરકાયદે રીતે રહેતા ૧૫ બાંગ્લાદેશીઓને અગાઉ ઝડપી લીધા બાદ વધુ ૬ બાંગ્લાદેશીઓને ઝડપી લેતા કુલ આંકડો ૨૧ ઉપર પહોંચ્યો છે.


બાંગ્લાદેશી શખસો ઝડપાયા બાદ સેન્ટ્રલ અને સ્ટેટ એજન્સીએ દ્વારા તપાસનો ઘમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસ દ્વારા હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત છે અને આગામી દિવસોમાં વધુ કેટલાક બાંગ્લાદેશીઓ ઝડપાય તેવી શક્યતા સેવાઇ રહી છે.


પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાની સૂચના હેઠળ ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શનમાં એસ.ઓ.જી., ક્રાઈમ બ્રાન્ચની ટીમ તથા ઇ.ઓ.ડબલ્યુની ટીમ દ્વારા શહેરમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશોને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી.


શહેર પોલીસના આ ઓપરેશન દરમિયાન શહેરના ભગવતીપરા વિસ્તાર, સોની બજાર, રામનાથપરા, જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં રહેતા પરપ્રાંતીઓના રહેઠાંણના પુરાવા ચકાસવામાં આવ્યા હતા. પોલીસે આગાઉ ગેરકાયદે રહેતા ૧૫ બાંગ્લાદેશીઓને શોધી કાઢ્યા બાદ વધુ ૬ બાંગ્લાદેશીઓને ઝડપી લીધા છે. અત્યાર સુધી ઝડપાયેલા બાંગ્લાદેશીઓનો આંકડો વધીને ૨૧ થયો છે. જેને હાલ નજર કેદમાં રખાયા છે.


રાજકોટમાં બાંગ્લાદેશી શખસો ઝડપાયા બાદ સેન્ટ્રલ અને સ્ટેટ એજન્સીએ દ્વારા તપાસનો ઘમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ૧૩ જેટલી એજન્સીઓ દ્વારા બાંગ્લાદેશીઓની પુછપરછ કરવામાં આવી રહી છે.તે કોઇ દેશવિરોધી પ્રવૃત્તિમાં સંડોવયેલ છે કે કેમ? સહિતની બાબતો અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે. જોકે અત્યાર સુધીની તપાસમાં કોઇ શંકાસ્પદ પ્રવૃત્તિમાં આ શખસો સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું નથી. મોટાભાગે મજુરીકામ કરતા હોવાનું અને કેટલીક મહિલા દેહવિક્રયની પ્રવૃત્તિમાં જોડાયેલી હોવાનું સામે આવ્યું છે.


બ્રાંચ અને ડિવિઝને કરેલી કામગીરી

રાજકોટમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી લેવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની સૂચના હેઠળ બ્રાંચ અને સ્થાનિક પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(એસઓજી) દ્વારા ૧૨, બી ડિવિઝન ૨, એલસીબી ઝોન- ૧એ ૨, આજીડેમ પોલીસે ૨, ગાંધીગ્રામ અને થોરાળા પોલીસે ૧-૧ બાંગ્લાદેશીને ઝડપી લીધા હતાં.


અગાઉ ઝડપાયેલા ૧૧ બાંગ્લાદેશીઓની એજન્સી દ્વારા પુછપરછ પુરી, રિપોર્ટની રાહ

શુક્રવાર રાતથ રાજકોટ પોલીસે બાંગ્લાદેશીઓને ઝડપી લેવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.જેમાં શરૂઆતના બે દિવસમાં પોલીસે ૧૧ બાંગ્લાદેશીઓને ઝડપી લેવામાં આવ્યા હતાં.જેમની સ્ટેટ અને સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા પુછપરછ કરી લેવામાં આવી લેવામાં આવી છે. સરકાર તરફથી રિપોર્ટ આવ્યા બાદ આ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી આગામી દિવસોમાં કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application