અમરેલી અને સાવરકુંડલા પંથકમાં વરસેલા ભારે વરસાદના કારણે નદી-નાળા અને કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ દરમિયાન અમરેલી-સાવરકુંડલા પંથકના કેરાણા-હાવડ કોઝવે પર મધ્યરાત્રિએ એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી હતી. કોઝવે પર નદીના ધસમસતા પૂરના પ્રવાહ વચ્ચે સાત મુસાફરો ભરેલી એક ઇકો કાર અચાનક ફસાઈ ગઈ હતી. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કાર પાણીમાં તણાઈ જાય તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ હતી અને અંદર બેઠેલા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.
મોડીરાત્રે આ ચિંતાજનક ઘટનાની જાણ સ્થાનિક વહીવટી તંત્ર અને અમરેલી ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં જ ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ યુદ્ધના ધોરણે એક્શનમાં આવી ગઈ હતી અને રેસ્ક્યૂ સામગ્રી સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અંધારી રાત્રે નદીના ધસમસતા અને વિકરાળ પ્રવાહ વચ્ચે ફાયર ઓફિસરની કુશળ આગેવાનીમાં જવાનોએ ઓપરેશન શરૂ કર્યું હતું.
ફાયર બ્રિગેડની ટીમે પોતાના જીવના જોખમે પૂરના તેજ પ્રવાહ વચ્ચે નદીમાં ઉતરીને સતત ૩ કલાક સુધી હાઈવોલ્ટેજ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું હતું. આખરે તમામ મુસાફરો સુધી પહોંચીને એક પછી એક એમ તમામ ૭ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી આબાદ બચાવ કર્યો હતો.
પૂરના સમયે સાવચેતી રાખવા અપીલ
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ચોમાસા દરમિયાન પાણીના વહેણને હળવાશથી ન લેવું.
કોઝવે પર જોખમ ન ખેડવું: નદી કે નાળાના કોઝવે પર પાણી ફરી વળ્યા હોય ત્યારે વાહન પસાર કરવાનો આગ્રહ ન રાખવો.
રાત્રિ મુસાફરી ટાળવી: ભારે વરસાદની સ્થિતિમાં અજાણ્યા અને ગ્રામ્ય માર્ગો પર રાત્રિના સમયે મુસાફરી કરવાનું ટાળવું હિતાવહ છે.
આ જીવસટોસટના ઓપરેશનમાં તમામ મુસાફરોનો આબાદ બચાવ થતાં સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડની ટીમની કામગીરી અને જવાનોની બહાદુરીને બિરદાવી હતી.