ગુજરાતમાં વિદ્યાર્થીઓના આપઘાત રોકવા માટે તાજેતરમાં જ એક એસઓપી જાહેર કરવામાં આવી હતી. જોકે, સુરતમાં ધો.12 સાયન્સમાં ભણતી એક વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અંગેની જાણ થતા જ પોલીસ દોડી ગઈ હતી અને વિદ્યાર્થિનીના મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, સુરતના ડીંડોલી વિસ્તારમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ વહેલી સવારે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી હતી. જ્યારે પરિવારના સભ્યો ઘરમાં સૂતા હતા ત્યારે આ વિદ્યાર્થિનીએ અચાનક અંતિમ પગલું ભરી લેતા સમગ્ર પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જેના લીધે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી, વિદ્યાર્થિનીએ કયા સંજોગોમાં આપઘાત કર્યો તે જાણવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
વિદ્યાર્થિનીના પિતા અજયભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, સવારે 5.30 વાગ્યે ઉઠીને જોયું તો દીકરીએ આપઘાત કરી લીધો હતો. કોઈપણ બાળકે સમસ્યા હોય તો પોતાના માતા-પિતાને જણાવવી જોઈએ. જેથી સમસ્યાનું સમાધાન આવી શકે. કોઈ બાળકે આવું ન કરવું જોઈએ. દીકરીએ અમને કાંઈ જાણ કરી નથી. અમે ગમે તેમ કરીને તેને ભણાવી રહ્યા હતા. મારી દીકરીને ડોક્ટર બનવું હતું.