રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શનિવારના રોજ પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટે 31 ઓક્ટોબર સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી હતી. આ વખતની પરીક્ષામાં ગત વર્ષની સરખામણીએ 51 હજાર વિદ્યાર્થીઓનો ઘટાડો નોંધાયો છે રાજ્યમાં 1,2005 કેન્દ્ર પર 7,862 વર્ગમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.ગત વર્ષે 2.69 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે નોંધાયા હતા. આ વખતે 2.18 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે . પરિણામે વિદ્યાર્થીઓની સંખ્યામાં 51 હજારનો ઘટાડો થયો છે.
પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાને લઈને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં પરીક્ષા માટે 31 ઓક્ટોબર સુધી ઓનલાઈન આવેદનપત્રો ભરી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે પરીક્ષા માટે 1 નવેમ્બર સુધી ઓનલાઈન ફી ભરવાની મુદત આપવામાં આવી હતી. ત્યારબાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 29 નવેમ્બરે શિષ્યવૃત્તિ માટે પરીક્ષા લેવાની જાહેરાત કરાઈ હતી. જેથી હવે શનિવારના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા લેવામાં આવશે.
જેમાં પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે 1.42 લાખ અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે 75 હજાર મળી કુલ 2.18 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેશે. શિષ્યવૃત્તિ પરીક્ષા માટે રાજ્યના 1205 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે અને તેમાં 7862 વર્ગોમાં પરીક્ષા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
શૈક્ષણિક વર્ષ 2025-26માં અભ્યાસ કરતા ધોરણ-6ના વિદ્યાર્થીઓ ભાગ લેશે. જેમાં સમગ્ર રાજ્યના કુલ 142775 વિદ્યાર્થીઓએ આવેદનપત્રો ભર્યા હોવાનું જાણવા મળે છે. જ્યારે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા શૈક્ષણિક વર્ષ 2025-26માં અભ્યાસ કરતા ધોરણ9ના વિદ્યાર્થીઓ ભાગ લેશે. જેમા રાજ્યના કુલ 75423 વિદ્યાર્થીઓએ આવેદનપત્રો ભર્યા છે. આમ, પ્રાથમિક અને માધ્યમિકના મળીને કુલ 218198 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે.
પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા રાજ્યના તમામ જિલ્લામાં દરેક તાલુકામાં શનિવારના રોજ બપોરના 1 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન લેવાશે. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા રાજ્યના કુલ 754 પરીક્ષા કેન્દ્રોના 5123 વર્ગોમાં લેવાશે. જ્યારે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે રાજ્યના 451 પરીક્ષા કેન્દ્રોના 2739 વર્ગોમાં લેવાશે. આમ, આ પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાં કુલ 1205 પરીક્ષા કેન્દ્રોના 7862 વર્ગોમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહેશે.
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓમાંથી તાલુકાવાર ક્વોટા પ્રમાણે પ્રથમ કુલ 1 હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તેમજ ઉત્તિર્ણ થનારા તમામ વિદ્યાર્થીઓને માર્કશીટ કમ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. જ્યારે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓમાંથી તાલુકાવાર ક્વોટા પ્રમાણે પ્રથમ કુલ 2900 વિદ્યાર્થી જેમાં ગ્રામ્યના 1500, શહેરી વિસ્તારના 1000 અને ટ્રાયબલના 400 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તેમજ ઉત્તિર્ણ થનારા તમામ વિદ્યાર્થીઓને માર્કશીટ કમ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.