શહેરના ભવનાથ સોસાયટીમાં રહેતા કારખાનેદાર યુવાને આજીડેમ વિસ્તારમાં આવેલા પોતાના કારખાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આર્થિક સંકળામણના લીધે કારખાનેદારે આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. કારખાનેદારના આ પગલાથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. બનાવને લઈ પટેલ પરિવારમાં શોક છવાઈ ગયો હતો.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના આજીડેમ વિસ્તારમાં પ્લાસ્ટિકનું કારખાનું ધરાવનાર કારખાનેદાર યુવાન જીગ્નેશભાઈ ધીરજલાલ સાવલિયા(ઉ.વ 42 રહે. ભવનાથ સોસાયટી, રાજકોટ) એ આજરોજ સવારના સુમારે પોતાના કારખાને લોખંડના એંગલમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
યુવાનને તેનો નાનો ભાઈ ફોન કરતો હોય પરંતુ તે કોલ રીસીવ ન કરતા તેને શંકા ગઈ હતી. જેથી નાના ભાઈએ કારખાને આવી તપાસ કરતા મોટાભાઈને લટકતી હાલતમાં જોઈ સ્તબ્ધ થઈ ગયો હતો. બાદમાં તેણે બૂમાબૂમ કરતા અહીં લોકો એકત્ર થયા હતા. ત્યારબાદ યુવાનને નીચે ઉતારી 108 ને જાણ કરવામાં આવી હતી. 108 ના ઇએમટીએ અહીં આવી જોઈ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના સ્ટાફે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
આપઘાતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, આપઘાત કરી લેનાર જીગ્નેશભાઈ આજીડેમ વિસ્તારમાં પ્લાસ્ટિકનું કારખાનું ચલાવતા હતા. યુવાનને સંતાનમાં બે પુત્ર હોવાનું અને તેઓ બે ભાઈના પરિવારમાં મોટા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કારખાનેદાર યુવાને આર્થિક સંકળામણથી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.