હિજાબ મુદ્દે નિતિશ સામે જામનગરમાં આમ આદમી પાર્ટીનો ઉગ્ર વિરોધ
હિજાબ મુદ્દે નિતિશ સામે જામનગરમાં આમ આદમી પાર્ટીનો ઉગ્ર વિરોધ
December 23, 2025 05:15 PM
બિહારના મુખ્યમંત્રી નિતિશકુમાર દ્વારા મુસ્લીમ મહિલા તબીબના ખેંચવામાં આવેલા હિજાબના મુદ્દે એક તરફ દેશભરમાં મુસ્લીમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહયો છે ત્યારે આજે જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા લાલબંગલા સર્કલ ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, જો કે પોલીસે નિતિશબાબુના પુતળાની પુરેપુરી સુરક્ષા કરી હતી, આ આશ્ર્ચર્યજનક કાર્યક્રમ દરમ્યાન આપના ૩૦થી વધુ આગેવાનો-કાર્યકરોની પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી આમ નિતિશના હિજાબનો મુદો ધીમે ધીમે ગરમાતો જાય છે.
બિહારમાં એક કાર્યક્રમ દરમ્યાન નિતિશકુમાર દ્વારા તબીબી વિદ્યાર્થીની ડો. પરવીનનો એક જાહેર કાર્યક્રમમાં હિજાબ ખેચવામાં આવ્યો હતો અને જોતજોતામાં તે વાયરલ થઇ જતા વિરોધ ઉઠયો હતો, બિહારમાં, યુપીમાં, મહારાષ્ટ્રમાં નિતિશકુમાર સામે વિરોધ કરવામાં આવી રહયો છે ત્યારે આજે જામનગરમાં લાલબંગલા સર્કલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપવાની જાહેરાત કરાઇ હતી.
આજે લાલબંગલા સર્કલ ખાતે પુર્વ વિપક્ષી નેતા અને આમ આદમી પાર્ટીના અસલમ ખીલજી, ઝેનબબેન ખફી, આપના શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા, પુર્વ નગરસેવક હાજી રીઝવાન જુણેજા સહિત આપના સંખ્યાબંધ આગેવાનો, કાર્યકરોએ નિતિશકુમાર સામે વિરોધ નોંધાવ્યો હતો, નિતિશનું પુતળુ બનાવીને સળાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પોલીસ દ્વારા પુતળાની સુરક્ષા કરવામાં આવી હતી, આપના આક્રોશીત મહિલા આગેવાને નિતિશની તસવીરો પર ચપ્પલો ફટકારી હતી અને બિહારના મુખ્યમંત્રીની તસવીરો પગ નીચે કચડવામાં આવી હતી.
આશ્ર્ચર્યજનક કાર્યક્રમ દરમ્યાન પોલીસ આવી પહોંચી હતી અને તાત્કાલીક આપના ૩૦ જેટલા આગેવાનો-કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી, આપ દ્વારા આ કાર્યક્રમમાં બિહારના મુખ્યમત્રી નિતિશકુમાર તાત્કાલીક અસરથી માફી માગે તેવી માંગણી કરવામાં આવી હતી.