ગુજરાતી સંસ્કૃતિ, પરંપરાગત કલા અને લોકસંગીતના ઈતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. પોતાની આગવી ગાયકીથી દેશ-વિદેશના શ્રોતાઓને ડોલાવનાર ગુજરાતના સુપ્રસિદ્ધ અને લોકપ્રિય લોકગાયક આદિત્ય ગઢવીના ભક્તિસભર ગીત ‘અલબેલી મતવાલી મૈયા’ને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. વૈશ્વિક કલા જગતના પ્રતિષ્ઠિત મંચ પર યોજાયેલા ‘વર્લ્ડ એન્ટરટેઈનમેન્ટ એવોર્ડ્સ ૨૦૨૬’માં આ ગીતને ‘બેસ્ટ ગ્લોબલ ટ્રેડિશનલ સોન્ગ’નો સર્વોચ્ચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વૈશ્વિક સ્તરે મળેલી આ અભૂતપૂર્વ અને ભવ્ય સિદ્ધિને પગલે માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓમાં ભારે આનંદ, ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે.
આદિત્ય ગઢવીનું આ ગીત તેની શક્તિશાળી ગાયકી, ઊર્જા અને પરંપરાગત સંગીતને કારણે લોન્ચિંગ સમયથી જ શ્રોતાઓમાં ખૂબ જ લોકપ્રિય રહ્યું છે, પરંતુ હવે આ વૈશ્વિક સન્માન મળ્યા બાદ તેને આંતરરાષ્ટ્રીય ઓળખ પણ પ્રાપ્ત થઈ ગઈ છે. આ ગીતની વિશેષતા એ છે કે તેની સંગીત રચના પાછળ ગુજરાતી સાહિત્ય અને સંગીત જગતના કેટલાક દિગ્ગજ કલાકારોનું અમૂલ્ય યોગદાન રહેલું છે.
આ ભક્તિસભર અને મંત્રમુગ્ધ કરી દે તેવા ગીતના સુંદર તેમજ ગહન શબ્દો જાણીતા લેખક જીતુ ભગત દ્વારા લખવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગીતમાં જે પરંપરાગત લોક-છંદ સાંભળવા મળે છે, તેની અદ્ભુત રચના કવિ જીવનભાઈ દોસાભાઈ ઝીબા દ્વારા ખૂબ જ સચોટ રીતે કરવામાં આવી છે. આ કલાકારોના અદભુત સમન્વય અને આદિત્ય ગઢવીના પાવરફુલ અવાજે ગીતને એક અલગ જ ઊંચાઈ પર પહોંચાડ્યું છે.
ગુજરાતી લોકસંગીતના ગૌરવ અને ઊંડા ભક્તિભાવને વિશ્વ સમક્ષ અનોખી રીતે પ્રસ્તુત કરતું આ ગીત હાલમાં દુનિયાના ખૂણે-ખૂણે ભારે પ્રશંસા મેળવી રહ્યું છે. સંગીત જગતના દિગ્ગજો અને સંગીતના જાણકારોનું માનવું છે કે, આ ગીતમાં રહેલો આપણો પરંપરાગત ઢાળ, મા શક્તિની આરાધનાનો દિવ્ય ભાવ અને સંગીતની ભવ્યતા એટલી પ્રભાવશાળી છે કે તે ભાષાના બંધનો તોડીને વિદેશી શ્રોતાઓને પણ મંત્રમુગ્ધ કરી રહી છે. વર્લ્ડ એન્ટરટેઈનમેન્ટ એવોર્ડ્સમાં મળેલી આ જીત એ સાબિત કરે છે કે જો પ્રાદેશિક સંગીતને તેની મૂળભૂત શુદ્ધતા અને ભવ્યતા સાથે રજૂ કરવામાં આવે, તો તે વૈશ્વિક સ્તરે પણ ડંકો વગાડી શકે છે. આ એવોર્ડ માત્ર આદિત્ય ગઢવીની સફળતા નથી, પરંતુ સમગ્ર ગુજરાતી લોકસાહિત્ય અને પરંપરાની મોટી જીત છે.