નિલ સિટી પાસે નિલ ગ્રીનવુડમાં રહેતા એડવોકેટ યુવાન પર આ જ સોસાયટીમાં રહેતા શખસે છરી વડે હુમલો કરી ધમકી આપી, ઢીકાપાટુનો મારમાર્યો હતો. એડવોકેટના મિત્ર સરકારી વકીલ સમિર ખીરાને આરોપી સાથે કોઇ બાબતે માથાકૂટ થઇ હોય જે બાબતે યુવાને સમાધાનની વાત કરતા તેનો ખાર રાખી આ હુમલો કર્યો હતો.હુમલામાં ઘવાયેલા વકીલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મારમારી દરમિયાન યુવાનનો સોનાનો ચેઇન પડી ગયો કે આરોપીએ લઇ લીધો તેનો ખ્યાલ ન હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ અંગે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, યુનિવર્સિટી રોડ પર નીલ સિટી, નિલ ગ્રીનવુડમાં હતા એડવોકેટ જયવિરસિંહ લખધીરસિંહ ઝાલા (ઉ.વ.૩૨) દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં આ જ સોસાયટીમાં રહેતા મયુરસિંહ રાયજાદાનું નામ આપ્યું છે.
જયવિસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા પાંચેક વર્ષથી વકીલાતની પ્રેકટિસ કરે છે. ગઇકાલ રાત્રીના અગીયારેક વાગ્યાની આસપાસ તે કે.કે.વી. હોલ ખાતે આવેલી પોતાની ઓફિસથી બાઇક લઇને તેમના એપાર્ટમેન્ટના ગેઇટ પાસે પહોંચતા સોસાયટીના રહેતા જયુભા ઝાલા તથા રૂદ્રસીંહ જાડેજા વગેરે ત્યા હોય જેથી તેઓ તેમની પાસે બાઇક ઉપર બેઠા હતાં. ત્યારે સોસાયટીમા રહેતા મયુરસીંહ રાયજાદા અચાનક ત્યાં આવી યુવાન સાથે બોલાચાલી કરી ગાળો દેવા લાગ્યો હતો.યુવાને ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાઇ તિક્ષ્ણ હથિયાર વડે પાછળથી ઘા મારવા જતા યુવાનને ડાબી આંખના બાજુમાં ગાલ તરફ છરકો થતા લોહી નીકળવા લાગ્યું હતું.બાદમાં મયુરસિંહે ઢીકાપાટુનો મારમારવા લાગતા યુવાન નીચે પડી ગયો હતો.દરમિયાન જયુભા અને રૂદ્રસીંહનુ ધ્યાન પડતા તેઓ ત્યાં આવી છોડાવાનો પ્રયત્ન કરેલ ત્યારે આ મયુરીંહ રાયજાદાએ કહ્યું હતું કે, તને જાનથી મારી નાખવો છે. તેમ કહી ઉશ્કેરાઇ ગળુ પકડી લેતા જયુભા વગેરેએ તેને છોડાવ્યો હતો.
બાદમાં વકીલ યુવાનને સારવાર માટે યુનિવર્સિટી રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતાં. જયા તેને ડાબી આંખની બાજુના ભાગે સાતેક ટાંકા આવ્યા હતા. ઝધડા દરમિયાન યુવાનના ગળામાં પહેરેલ સોનાનો ચેઇન પડી ગયેલ છે કે મયુરસિંહ લઇ ગયેલ છે. તેની યવાનને ખબર નથી.
એડવોકેટ જયવિરસિંહે બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે,તેમના મિત્ર સરકારી વકીલ સમીરભાઇ ખીરા સાથે ત્રણેક માસ પહેલા આ મયુરસીંહ રાયજાદા સાથે કોઈ બાબતે ઝધડો હોય જેથી આ સમીરભાઈ ખીરાએ ફરિયાદીને મયુરસીંહ સાથે સમાધાન કરવા બાબતે વાત કરી હતી. મયુરસીંહને સમીરભાઈ સાથે સમાધાન કરવા સમજાવતા તે વાતથી મારાથી નારાજ થઈ જઇ મયુરસિંહે યુવાન સાથે બોલાવાનું બંધ કરી દીધું હતું બાદમાં આ વાતનો ખાર રાખી હુમલો કર્યો હતો. જે અંગે એડવોકેટની ફરિયાદ નોંધવતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.