દાહોદ જિલ્લાના રતનમહાલ અભ્યારણ્યમાં વાઘની ખાતરીપૂર્વક હાજરી મળ્યા બાદ, 2026ની ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન (એઆઈટીઈ) ગણતરી માટે ગુજરાતને સત્તાવાર રીતે વાઘ ધરાવતું રાજ્ય તરીકે માન્યતા આપવામાં આવી છે. આ સાથે ગુજરાત–મધ્ય પ્રદેશ સરહદ પર અધિકૃત કેમેરા-ટ્રેપ આધારિત વાઘ ગણતરી હાથ ધરવામાં આવશે.
દેશની સૌથી વ્યાપક વન્યજીવ સર્વે પ્રક્રિયાઓમાંની એક એવી એઆઈટીઈ-2026ની શરૂઆત ગયા અઠવાડિયે ઇન્દોરથી કરવામાં આવી હતી. ગણતરી સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (એનટીસીએ)એ રતનમહાલ અભ્યારણ્યમાં વાઘ સંરક્ષણ માટે જરૂરી પગલાં લેવાની સૂચના આપતો પત્ર જારી કર્યો છે. હાલમાં આ અભ્યારણ્યમાં લગભગ ચાર વર્ષનો એક વાઘ સ્થાયી થયો છે.
આ વાઘ ફેબ્રુઆરીના મધ્યભાગથી રતનમહાલ–મધ્ય પ્રદેશની સરહદ વિસ્તારમાં અવરજવર કરતો જોવા મળ્યો હતો અને ત્યારબાદ ત્યાં જ સ્થાયી થયો છે. તેના લાંબા ગાળાના જીવંત રહેવા માટે રાજ્યના વન અધિકારીઓ તેની ગતિશીલતા પર નજીકથી નજર રાખી રહ્યા છે અને જરૂરી સુધારાત્મક પગલાં અમલમાં મૂકી રહ્યા છે. ફોટોગ્રાફિક પુરાવાના આધારે એનટીસીએએ ગુજરાતને ફરી દેશના વાઘ નકશામાં સ્થાન આપ્યું છે અને એઆઈટીઈમાં સામેલ કર્યું છે.
એઆઈટીઈ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું, હજુ સુધી વાઘને ટેગ કરવામાં આવ્યો નથી. ગણતરી દરમિયાન તેને ટેગ કરવામાં આવશે અને રાજ્યના વન અધિકારીઓને સ્ટ્રાઇપ સોફ્ટવેર સિસ્ટમ અંગે તાલીમ આપવામાં આવશે. આથી તેઓ વાઘની ગતિશીલતા માત્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશભરમાં પણ મોનિટર કરી શકશે.
ગુજરાતમાં છેલ્લી વાઘ ગણતરી 1989માં કરવામાં આવી હતી, જેમાં પગચિન્હો મળ્યા હતા પરંતુ વાઘ દેખાયો નહોતો. 1992ની ગણતરીમાંથી ગુજરાતને બહાર રાખવામાં આવ્યું હતું, જેના પરિણામે રાજ્યને વાઘ હાજરી ધરાવતાં રાજ્યોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું. ત્યારબાદ 2019માં એક વાઘ જોવા મળ્યો હતો, પરંતુ તે માત્ર 15 દિવસ જ જીવિત રહ્યો હતો.
એનટીસીએના એક અધિકારીએ જણાવ્યું, ચાર વર્ષનો આ વાઘ છેલ્લા લગભગ દસ મહિનાથી રતનમહાલ અભ્યારણ્યમાં સ્થિર રીતે રહ્યો છે. સતત ફોટોગ્રાફિક અને સીસીટીવી પુરાવા ઉપલબ્ધ છે, જે દર્શાવે છે કે આ માત્ર પસાર થવું નથી પરંતુ સ્થાયી વસવાટ છે. આ લાંબી હાજરીને કારણે ગુજરાતને ફરી વાઘ ધરાવતું રાજ્ય જાહેર કરવું સંપૂર્ણપણે યોગ્ય અને જરૂરી છે.
અધિકારીઓ મધ્ય પ્રદેશના અલિરાજપુર વિસ્તારમાં પણ સર્વે કરશે, જ્યાં આ વાઘ વારંવાર જાય છે, જેથી ત્યાં માદા વાઘની હાજરી અંગે માહિતી મળી શકે. એનટીસીએના અધિકારીએ પુષ્ટિ કરી કે રતનમહાલને ટાઈગર રિઝર્વ જાહેર કરવા માટે ગુજરાત તરફથી સહાયની વિનંતી મળી છે. તેમણે ઉમેર્યું, “માદા વાઘને સ્થાનાંતરિત કરવાનો કોઈ નિર્ણય લેતા પહેલાં, વિસ્તારમાં પૂરતા શિકાર પ્રાણીઓ (અનગ્યુલેટ્સ)ની ઉપલબ્ધતા છે કે નહીં તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.