BREAKING NEWS

પત્ની પાસે ઘર ખર્ચનો હિસાબ માગવો ક્રૂરતા નહિ: સુપ્રીમ કોર્ટ

  • December 20, 2025 02:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
પતિ-પત્નીના સંબંધોમાં નાની-નાની બાબતો જ્યારે કોર્ટ સુધી પહોંચે છે ત્યારે ઘણીવાર કાયદાનો દુરુપયોગ થતો હોવાનું જોવા મળે છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, જો પતિ તેની પત્નીને ઘરના ખર્ચનો હિસાબ રાખવા માટે કહે, તો તેને ક્રૂરતા માની શકાય નહીં. આ આધારે પતિ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી થઈ શકે નહીં.


આ કેસમાં એક પત્નીએ તેના પતિ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે એફઆઈઆર નોંધાવી હતી, જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે પતિ તેને ઘરના દરેક નાના-મોટા ખર્ચની વિગત રાખવા અને તેની એક્સેલ શીટ બનાવવા માટે મજબૂર કરતો હતો. પત્નીનો અન્ય એક આક્ષેપ એ પણ હતો કે પતિ તેને પૂછ્યા વગર જ પોતાના માતા-પિતાને પૈસા મોકલતો હતો. આ ઉપરાંત, ગર્ભાવસ્થા અને ડિલિવરી બાદ વજન વધવા બાબતે પતિ તેને સતત ટોણા મારતો હતો અને તે સમયગાળા દરમિયાન તેની પૂરતી કાળજી પણ રાખતો ન હતો. આ સંવેદનશીલ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે કરી હતી, જેમાં કોર્ટે આ ઘટનાઓને વૈવાહિક જીવનના સામાન્ય ઘર્ષણ ગણાવી હતી.


સુપ્રીમ કોર્ટે પતિ સામેની એફઆઈઆર રદ કરતાં કેટલીક અત્યંત મહત્ત્વની સ્પષ્ટતાઓ કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, જો પતિ પત્ની પાસે એક્સેલ શીટમાં ખર્ચનો હિસાબ માંગે તો તેને ક્રૂરતા માની શકાય નહીં, કારણ કે આવી બાબતો વૈવાહિક જીવનના રોજબરોજના સામાન્ય ઘર્ષણનો ભાગ છે અને તેને ગુનાની શ્રેણીમાં ન મૂકી શકાય. વધુમાં, કોર્ટે સ્પષ્ટ કર્યું કે પુત્ર દ્વારા પોતાના માતા-પિતાને આર્થિક મદદ કરવી એ કોઈ પણ રીતે ગુનાહિત કૃત્ય નથી. પત્નીના વજન બાબતે ટોણા મારવા કે કાળજીના અભાવ જેવા આક્ષેપો પર કોર્ટે સ્વીકાર્યું કે આ બાબતો પતિના ચરિત્ર પર સવાલ જરૂર ઉઠાવે છે, પરંતુ આટલી વાત માટે તેને લાંબી કાયદાકીય પ્રક્રિયા કે જેલની સજા જેવી મુસીબતમાં ધકેલી શકાય નહીં.


સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે, વૈવાહિક વિવાદોમાં અદાલતોએ અત્યંત સાવધ રહેવું જોઈએ. ફરિયાદો ઘણીવાર અસ્પષ્ટ અને સામાન્ય હોય છે, જેનો ઉપયોગ અંગત બદલો લેવા માટે થતો હોય છે. કોર્ટે કહ્યું કે આવી નાની બાબતોને ક્રૂરતાની શ્રેણીમાં મૂકવાથી કાયદાની વિશ્વસનીયતા જોખમાય છે.


કોર્ટે અંતમાં ઉમેર્યું કે પતિનું નાણાકીય બાબતોમાં પ્રભુત્વ હોવું એ ભારતીય સમાજનું એક પાસું હોઈ શકે છે, પરંતુ જ્યાં સુધી કોઈ શારીરિક કે માનસિક નુકસાન સાબિત ન થાય ત્યાં સુધી તેને ક્રૂરતા ગણી શકાય નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application