રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મંજૂર થયા બાદ રાજકોટ મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની કેસમાં જામીન અરજી મંજૂર કરવામાં આવી છે. દરમિયાન ટાઉન પ્લાનિંગ કમિટીની બોગસ મિનિટસ બુક બનાવવાના ગુનામાં તેને આ અગાઉ જામીન મળી ગયા હોય, મનસુખ સાગઠીયાનો જેલમાંથી બહાર આવવાના સંજોગો ઊભા થયા હોવાનું મનાય છે.
રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભૂંજાયાની ચકચારી ઘટનામાં એસઆઇટીના રિપોર્ટના આધારે રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ મનસુખ સાગઠીયા સહિત 16 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. જે પૈકી એક આરોપીનું અગ્નિકાંડમાં મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય 15 આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરાયા હતા. જેમાં TPO મનસુખ સાગઠીયા વિરુદ્ધ ચાલતી તપાસમાં તેમની પાસેથી રૂ. 28 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવતા એન્ટી કરપ્શન બ્યુરોમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન મનપાના પૂર્વ ટાઉન પ્લાનિંગ અધિકારી મનસુખ સાગઠિયાની રૂ. 21 કરોડની મિલ્કતો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટની કલમ 5 હેઠળ તા.28. 05. 2024ના રોજ જપ્તીમાં લીધા બાદ દિલ્લીની એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે મહાનગર પાલિકા પાસે મંજૂરી માંગી હતી.
દરમિયાન અગાઉ એસીબીના રૂ. 28 કરોડની અપ્રમાણસર મિલકતોના કેસમાં મનસુખ સાગઠીયાની જામીન અરજી રાજકોટ સેશન્સ કોર્ટે નામંજૂર કર્યા બાદ તેણે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી જામીન અરજીનો ગઈકાલે જાહેર થયેલા ચુકાદામાં મનસુખ સાગઠીયાની જામીનઅરજી મંજુર કરવામાં આવી છે.
બીજી તરફ મહાપાલિકાની ટીપી કમિટીની બોગસ મિનિટ બુક બનાવવાના ગુનામાં અગાઉ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે મનસુખ સાગઠીયાની જામીનઅરજી નામંજૂર કર્યા બાદ તેણે સેશન્સ કોર્ટમાં દાખલ કરેલી જમીન અરજીનો ગયા મહિને ચુકાદામાં સાગઠીયાની જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી. જેથી તેની નોંધાયેલા ત્રણેય કેસમાં જામીન મંજૂર હતા. હાલ તેને 14 માસ બાદ જેલમાંથી મુક્ત થવાના સંજોગો ઊભા થયા છે.
મનસુખ સાગઠીયા સામેના ત્રણ કેસ
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ ધનજીભાઈ સાગઠિયા સામે 3 ફોજદારી કેસો નોંધાયા છે. જેમાં ભારતીય દંડ સહિતા હેઠળ અગ્નિ કાંડ, ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ એક કેસ અને બોગસ મિનિટ બુકના કેસ કરવામાં આવ્યા છે.