કાલાવડમાં એડવોકેટની હત્યાના ગુનામાં આરોપીઓને ગણતરીની કલાકોમાં જામનગર એલસીબીની ટુકડીએ હાપા રોડ પરથી પકડી લઇ કાલાવડ પોલીસને સોપ્યા હતા જયાં બંનેને રીમાન્ડ પર લેવામાં આવ્યા છે.
કાલાવડમાં રહેતા એડવોકેટ ઈમ્તિયાઝભાઈ દોઢીયાની ગત શુક્રવારે રાત્રે તેમના ઘર પાસે હત્યા નીપજાવાઈ હતી, જે હત્યાના બનાવ અંગે કાલાવડ પોલીસે મૃતક ના ભાઈ આસિફભાઈ દોઢીયાની ફરિયાદના આધારે બે આરોપીઓ વૈભવ ભરત ચાવડા અને યોગેશ ઉર્ફે લાલો ભીખુ પરમાર સામે ગુનો નોંધ્યો હતો, અને એલસીબી ની ટુકડીએ બંને આરોપીઓને ઝડપી લીધા હતા, જે બંને આરોપીઓનો કબજો કાલાવડ પોલીસ મથકમાં સોંપી દેવાયો હતો.
કાલાવડ પોલીસ દ્વારા બંનેનો કબજો સંભાળી લઈ રિમાન્ડ ની માંગણી સાથે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં અદાલતે બંનેને બે દિવસના રિમાન્ડ પર લેવા હુકમ ફરમાવ્યો છે. જે બંને આરોપીઓની કાલાવડ પોલીસ દ્વારા ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. જયારે હત્યામાં વપરાયેલી છરી કબજે કરવા માટે તેમજ બંનેની ઓળખ પરેડ સહિતની કાર્યવાહી કરવા માટે વધુ તપાસ ચલાવાઈ રહી છે.
પોલીસ તપાસ માં જાણવા મળ્યા અનુસાર એડવોકેટ ઈમ્તિયાઝભાઈ આરોપી વૈભવ ચાવડાની પત્ની ઉપર ખરાબ નજર નાખે છે, તેવી શંકાના આધારે આ હુમલો કરી દીધાનું અને બંને આરોપીઓએ પૂર્વે આયોજિત કાવતરું ઘડી છરી વડે હુમલો કરી હત્યા નિપજયાનું સામે આવ્યું છે. આ હત્યાના બનાવ અંગે કાલાવડના પોલીસ ઇન્સ્પેક્ટર એન. વી. આંબલીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.