જામનગર મહાનગરપાલીકા અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સોમવાર તા.૨૪ના રોજ સવારે ૧૦ વાગ્યે મુખ્યમંત્રીના હસ્તે રૂ.૬૨૨.૫૨ કરોડના ૬૯ કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરવાનું આયોજન થયું છે ત્યારે અધિકારીઓ આખરી તૈયારીમાં લાગી ગયા છે, જામનગર મહાપાલીકા હસ્તક ૪૧૭.૩૩ કરોડના લોકાર્પણ અને ૩૩.૮૯ કરોડનું એક કામ મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લું મુકાશે જયારે અન્ય વિભાગ દ્વારા ૧૦૧.૦૧ કરોડના ૫૩ કામોના ખાતમુર્હુત રૂ.૭૦.૨૯ કરોડના ૮ કામોના લોકાર્પણ કરવામાં આવશે, એમ કુલ ખાતમુર્હુત અને લોકાર્પણના ૬૯ કામોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાતરસ્તા સર્કલ પાસે ફલાય ઓવરનું લોકાર્પણ કરીને સીધા ધન્વંતરી ઓડીટોરીયમમાં જશે, જો શકય હશે તો મુખ્યમંત્રીને આખા ફલાય ઓવરને જોવાનું પણ આમંત્રણ આપવામાં આવશે તેમ જાણવા મળે છે, સમગ્ર કાર્યક્રમને લઇને મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી સતત વોચ રાખી રહ્યા છે જયારે બીજી તરફ જિલ્લા કલેકટર કેતન ઠકકર, એસ.પી. ડો.રવિ સૈની સહિતના ઉચ્ચ અધિકારીઓ સીએમના કાર્યક્રમને ઘ્યાનમાં લઇને તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે.
જામનગર મહાપાલીકા દ્વારા મ્યુ.કમિશ્નરના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રોજેકટ રૂ.૨૨૬.૯૯ કરોડનો થયો છે, જેનું મોનીટરીંગ સીટી ઇજનેર ભાવેશ જાનીએ કર્યુ છે, ત્યારબાદ ૩૩.૮૯ કરોડના કામોનું પણ ખાતમુર્હુત કરાશે, એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર દ્વારા રૂ.૫૪.૯૪ કરોડનું એક કામનું લોકાર્પણ કરાશે જયારે નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત દ્વારા રૂ.૧૫.૬૩ કરોડના ૧૩ કામોનું ખાતમુર્હુત, માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા રૂ.૬૪.૦૩ કરોડના ૩૪ કામોનું મુર્હુત કરાશે જયારે પોલીસ વિભાગ દ્વારા રૂ.૨૦.૩૬ કરોડના એક કામનું ખાતુમુર્હુત કરાશે, જિલ્લા વિકાસ ગ્રામ એજન્સીનું એક કામનું ખાતમુર્હુત અને ૪ કામનું લોકાર્પણ થશે, કુલ ૨.૯૪ કરોડના કામો લોકાર્પણ કરાશે.
આ ઉપરાંત જામનગર જિલ્લા સિંચાઇ પંચાયત દ્વારા બે કામનું લોકાર્પણ અને આયોજન કચેરી દ્વારા ૪ કામનું ખાતુમુર્હુત અને ૫ કામનું ૧૪ લાખના ખર્ચવાળા કામોનું લોકાર્પણ કરાશે. આમ કુલ ખાતમુર્હુતના ૫૪ કામો, લોકાર્પણના ૧૫ કામો થઇ કુલ રૂ.૬૨૨.૫૨ કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવશે. પહેલા આ કાર્યક્રમ તા.૨૦ના રોજ હતો જેના બદલે હવે સોમવાર તા.૨૪ના રોજ રાખવામાં આવ્યો છે, જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરક્ષા-વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, ધન્વંતરી ઓડીટોરીયમમાં પણ સુરક્ષાની ચકાસણી કરવામાં આવી છે. ફલાય ઓવરનું લોકાર્પણ થયા બાદ મુખ્યમંત્રી ધન્વંતરી ઓડીટોરીયમમાં લગભગ ૧૦:૩૦ આસપાસ સંબોધન કરશે અને ત્યાંથી કેટલાક કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરશે.