મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથમાં એક કાર બેકાબુ બની સામેની લેનમાં ઘુસી જવા પામી હતી અને અનેક વાહનો સાથે ટકરાઈ પડતા આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા અને ચાર અન્ય ગંભીર રીતે ઘાયલ થયા. આ અકસ્માત અંબરનાથ પૂર્વ અને પશ્ચિમને જોડતા ફ્લાયઓવર પર બન્યો હતો. ડ્રાઇવરનું પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, કાર ખુબ જ ઝડપથી દોડી રહી હતી અને કાબુ ગુમાવ્યા બાદ, વિરુદ્ધ લેનમાં ભટકાઈ ગઈ, જેના કારણે સામેની લેનમાં ઘૂસી ગઈ, જેના કારણે આગળના મોટરસાયકલ સવારો કચડી ગયા. એક મોટરસાઇકલ ચાલક ફ્લાયઓવર પરથી પટકાયો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું.
અકસ્માતમાં સામેલ ટાટા નેક્સન વાહન અંબરનાથ શિવસેનાના નેતા પ્રમોદ ચૌબેના નામે નોંધાયેલું હતું. અકસ્માત સમયે તેમની પત્ની સુમન ચૌબે પણ કારમાં હતી. સુમન ચૌબે શિવસેના (શિંદે જૂથ) તરફથી મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી લડી રહી છે અને ચૂંટણી પ્રચાર માટે બુઆપાડા જઈ રહી હતી. તેમના હાથ અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ કારમાં ફસાયેલી સ્થાનિક લોકોએ કારની બારી તોડીને તેને બહાર કાઢી અને હોસ્પિટલ લઈ ગયા.
ડ્રાઇવરને અચાનક હાર્ટ એટેક આવ્યાની ચર્ચા
કેટલાક સ્થાનિક લોકોનો દાવો છે કે ડ્રાઇવરને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેણે ભૂલથી એક્સિલરેટર દબાવી દીધું હતું. અન્ય લોકોનો આરોપ છે કે ડ્રાઇવર નશામાં હતો. જોકે, પોલીસે આ દાવાઓની પુષ્ટિ કરી નથી અને તપાસ ચાલુ છે.અંબરનાથ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક શબ્બીર અહેમદે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ચાર લોકોના મોત અને ચાર ઘાયલ થયા છે. એક ઘાયલ વ્યક્તિને ઉલ્હાસનગરની સેન્ટ્રલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય ત્રણને ડોમ્બિવલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉલ્હાસનગર મોકલવામાં આવ્યા છે.
એસઆઈ શબ્બીર અહેમદે જણાવ્યું હતું કે મૃતકો અને ઘાયલોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે અને અકસ્માતનું કારણ શોધવામાં આવી રહ્યું છે. મોડી રાત સુધી ફ્લાયઓવર પર પોલીસ ટીમો તૈનાત રહી હતી, અને ટ્રાફિક ધીમે ધીમે સામાન્ય થઈ ગયો હતો.