જીએસટીના રૂ.1450 કરોડના કથિત કૌભાંડ મામલે સૂર્યા હાઈબ્રિડ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર અને અન્ય કિસ્સામાં 572 કરોડના કૌભાંડમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ધરપકડના અલગ અલગ કેસમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે બંને ધરપકડોને ગેરકાયદે ગણાવી છે.
આ અંગેની હકીકત મુજબ, ગઇ તા. 25- 02- 2026ના રોજ સૂર્યા હાઈબ્રિડ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડના નોંધાયેલ સરનામે રૂ. 1450 કરોડના કથિત GST છેતરપિંડી સંદર્ભે સર્ચ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે બાદ પૂર્વ ડિરેક્ટર રાજીવભાઈ મહેતાના સ્થળે ધરી GST વિભાગે ધરપકડ કરીને રાજીવ મહેતાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યા હતા.
આ ઉપરાંત રૂ. 572 કરોડના અન્ય કેસમાં રાજકોટના સ્ટેટ જી.એસ.ટી. દ્વારા સીએ કપિલ દાસાણીની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ સીએ કપિલ દાસાણીને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
ઉપરોક્ત બંને અલગ અલગ કેસમાં આરોપીઓના વકીલો દ્વારા કરવામાં આવેલી 'આ ધરપકડ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓના સ્પષ્ટ ઉલ્લંઘનરૂપ હોવાની અને કાયદેસરતા અંગે જોરદાર વાંધો ઉઠાવ્યો હતો, જે ધ્યાને લઈ બંને અલગ અલગ કેસમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે કંપની સંચાલક રાજીવ મહેતા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કપિલ દાસાણીની ધરપકડોને ગેરકાયદે જાહેર કરી હતી. આ કેસમાં આરોપીઓ વતી એડવોકેટ ફેનિલ મહેતા, અપુર્વ મહેતા, કિશન રાજાણી, જયદીપ કુકડિયા રોકાયા હતા.