રાજકોટ શહેરમાં રૈયા નાકા ટાવર પાસે, વ્હોરા વાડ, નઝમી મસ્જીદ પાસે શબીર ક્રિએશનની બાજુમાં આવેલ ભાડાની દુકાનમાં મૂળ ભાડૂત સ્વર્ગસ્થ થતા ધંધો કરતા વારસો પાસેથી દુકાનનો ખાલી કબજો મેળવવા તથા નુકશાનીની રકમ મેળવવા માલિકોએ કરેલો દાવો ખર્ચ સહિત નામંજૂર કરી સામાવાળાને રૂ. 3000 વિશેષ ચૂકવવા વાદીને હુકમ કર્યો છે
આ અંગેની હકીકત મુજબ, રાજકોટ શહેરમાં રૈયા નાકા ટાવર પાસે, વ્હોરા વાડ ભરવાડની શેરી, નઝમી મસ્જીદ પોસે, ગઢની રાંગ પાસે, શબીર ક્રિએશનની બાજુમાં આવેલ ૨૦૦૨માં ખરીદાયેલ દુકાન કે જે નફીસાબેન શબ્બીરભાઈ ભારમલે પુત્રીઓની સંમતિથી કલાવતીબેન બાબુલાલ મેરને રૂા. ૪૦૦ના માસિક ભાડાથી આપેલ. સને ૨૦૧૮ સુધી તેઓએ ભાડું સ્વીકારી પહોંચ લખી આપેલ છે. ભાડાવાળી દુકાનના ભાડુત કલાવતીબેન અવસાન પામેલ છે. અને ભાડાવાળી દુકાનમાં જય મેર ધંધો કરે છે. તે વપરાશને તેણીએ ગેરકાયદેસર બતાવી દુકાનનો ખાલી કબજો તથા ગેરકાયદેસર કબજા તથા વપરાશની રકમ વસુલવા રાજકોટ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. આ દાવા અનુસંધાને પ્રતિવાદી જય મેરે કોર્ટમાં રજુઆત કરેલ કે, દાવામાં ભાડુતના વારસોને જોડેલ જ નથી. અને જે ભાડુત પાસેથી ભાડું દાવા દાખલ સુધી લીધું છે તેને પણ પક્ષકાર તરીકે જોડેલ નથી. તેમજ નફિસાબેને તેની ત્રણ પુત્રીઓના મુખત્યારનામા વગર દાવો દાખલ કરેલ છે. દાવો જય મેરને જોડીને દાખલ કરેલ પરંતુ તે ભાડુત નથી. અને મુળ ભાડુતના પૌત્ર છે. ભાડુત ગુજરી જાય એટલે મિલકત મકાન માલીકને પાછી આપી દેવી પડે તેવી દાવો કરનારની માન્યતા ગલત છે. જેથી દાવો રદ થવા પાત્ર છે. કોર્ટે સમગ્ર પુરાવા ધ્યાને લીધા બાદ ઠરાવેલ છે કે, દાવાવાળી મિલકતમાં કોઈ થર્ડ પાર્ટી એટલે કે ત્રાહિત વ્યકિત નથી. કલાવતીબેનના અવસાન બાદ કલાવતીબેન સાથે ધંધો કરતા તેના પુત્ર દિનેશભાઈ ભાડું આપી મિલકતમાં ધંધો કરે છે. દિનેશભાઈએ આપેલું ભાડું ૨૦૧૮ સુધીનું મકાન માલીકે સ્વિકારી લીધેલ છે. અને દાવો જેની સામે કરેલ છે તે જય મેર તેના કાકાની સાથે દુકાનમાં બેસતો હોય તો તે ત્રાહિતની વ્યાખ્યામાં આવતો નથી. કોર્ટે દાવો રદ કરતા ઠરાવેલ છે કે, દાવા બાબતેનું તમામ ખર્ચ વાદીઓએ ભોગવવું, કોર્ટ પાસે વાસ્તવિક વિગતો છુપાવેલ હોય રૂા.૩૦૦૦/- વિશેષથી વાદી જય મેરને ચુકવવા. ઉપરોકત દાવામાં પ્રતિવાદી વતી વિકાસ કે. શેઠ, અલ્પા શેઠ, નેહલ ખીલોસીયા તથા ફાતેમા ભારમલ એડવોકેટ દરજજે રોકાયા હતા.