રાજકોટ કલેકટર કચેરી ખાતે આયોજિત જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કલેકટરે ૪૨ જેટલા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. જેમાં ગેરકાયદે બાંધકામ, લેન્ડગ્રેબિંગ, વરસાદી પાણીથી ખેતરમાં ધોવાણ, રહેણાંક વિસ્તારમાં સ્કૂલ બિલ્ડીંગ, દબાણ સહિતના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને જુલાઈ માસનો જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ગત તા. ૨૨ જુલાઈના રોજ યોજાયો હતો. બેઠકમાં જુદાજુદા ૪૨ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં. આ પ્રશ્નોનું સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સંકલનમાં રહીને નિરાકરણ લાવવામાં આવ્યું હતું. બેઠકમાં રાજકોટ શહેર તેમજ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં અનધિકૃત કોમર્શીયલ બાંધકામ, લેન્ડગ્રેબિંગ, વરસાદી પાણી ખેતરમાં આવવાથી થતું ધોવાણ, રહેણાંક વિસ્તારમાં સ્કૂલનું બિલ્ડીંગ નિર્માણ, સરકારી જમીનમાં દબાણ, જમીન રીસર્વે સહિતના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટરે વાદી તેમજ પ્રતિવાદી પક્ષકારોની રજૂઆતો બાદ સંબંધિત તાલુકા મામલતદાર, અધિકારીઓ, પોલીસ વિભાગ તેમજ અન્ય સંલગ્ન વિભાગના અધિકારીઓને જરૂરી સૂચના આપી પ્રશ્નોના નિકાલ કર્યા હતાં. આ બેઠકમાં રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, નાયબ પોલીસ કમિશનર ઝોન – ૨ રાકેશ દેસાઈ, નિવાસી અધિક કલેક્ટર બારોટ, જમીન દફતરની કચેરી, જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ગોંડલ, રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીઓ, રાજકોટ જિલ્લાના મામલતદારઓ, ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારીઓ સહીત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.