ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન ચેતનભાઈ રામાણીએ અખબારી યાદીમાં જણાવ્યુ હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત હોદેદારોને રૂબરૂ મળી શુભેચ્છાઓ પાઠવવાનો એક સૌહાર્દપૂર્ણ અવસર યોજાયો હતો જેમા સ્વામિનારાયણ મંદિર સંચાલિત કરણસિંહજી બાલાજી હનુમાનજી મંદિરના મહંત પૂ. વિવેકસાગરદાસજી સ્વામી, પૂ. મુનિવત્સલદાસજી સ્વામી તેમજ ભાજપ અગ્રણી રાજુભાઇ ધારૈયા વિગેરે આ તકે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નેહલભાઈ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પિપળીયા, શાસક પક્ષના નેતા હિરેનભાઈ ખિમાણીયા તેમજ દંડક સંજયસિંહ રાણા સહિતના હોદેદારોને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમના નવા કાર્યકાળ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ પ્રસાદિના ફૂલહાર પહેરાવી આશીર્વાદ પાઠવ્યા હતા.
મુલાકાત દરમિયાન રાજકોટ શહેરના સર્વાગી વિકાસ, નાગરિક સુવિધાઓના વિસ્તરણ, સ્વચ્છતા અભિયાન, માર્ગ અને ડ્રેનેજ વ્યવસ્થાનું સશક્તિકરણ, ટ્રાફિક વ્યવસ્થામાં સુધારા, પર્યાવરણ સંરક્ષણ, હરિયાળા રાજકોટના નિર્માણ તેમજ આધુનિક શહેરી સુવિધાઓના વિકાસ જેવા વિવિધ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નવી ટીમના નેતૃત્વ હેઠળ રાજકોટ મહાનગરપાલિકા વિકાસના નવા સોપાનો સર કરશે અને નાગરિકોની અપેક્ષાઓને પૂર્ણ કરવામાં સફળ બનશે.

આ તકે ચેતનભાઇ રામાણીએ જણાવ્યું હતું કે રાજકોટ શહેર આજે ગુજરાતના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં સ્થાન ધરાવે છે. શહેરના સુવ્યવસ્થિત વિકાસ, આધુનિક સુવિધાઓના નિર્માણ અને નાગરિકોને વધુ સારી સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે મહાનગરપાલિકાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. નવી ટીમ અનુભવ, દ્રષ્ટિ અને સમર્પણ સાથે શહેરના વિકાસને વધુ વેગ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
મેયર નેહલભાઈ શુકલ અને અન્ય હોદેદારોએ શુભેચ્છા મુલાકાત બદલ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે રાજકોટ શહેરના વિકાસ માટે સૌના સહયોગ અને માર્ગદર્શન સાથે કાર્ય કરવામાં આવશે. શહેરને સ્વચ્છ, સુંદર, સુવિધાસભર અને પ્રગતિશીલ બનાવવાના પ્રયાસોને વધુ ગતિ આપવામાં આવશે અને નાગરિકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે પ્રાથમિકતા આપવામાં આવશે.

આ શુભેચ્છા મુલાકાત માત્ર ઔપચારિકતા પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ શહેરના ભવિષ્યના વિકાસ માટે રચનાત્મક વિચારો અને સૂચનોની આપ-લે કરવાનો પણ એક ઉત્તમ અવસર બની હતી. ઉપસ્થિત સૌએ રાજકોટને વિકાસ, સુશાસન અને જનકલ્યાણના ક્ષેત્રે રાજ્યમાં અગ્રેસર બનાવવાના સંકલ્પ સાથે નવનિયુક્ત હોદેદારોને સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી હતી.