દ્વારકાધીશ જગતમંદિરમાં આ વર્ષે રૂપ ચતુર્દશી અને દિપાવલીના પાવન પર્વ નિમિત્તે દિવ્ય અને અલૌકિક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ઠાકોરજીના હાટડી દર્શન અને દિપમાલા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ હજારો ભક્તોએ લીધો હતો.
દિપાવલી પર્વની સંધ્યાએ ઠાકોરજીનો શણગાર અદ્ભુત હતો. તેમને સોનેરી રંગના વિશેષ વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા. સાથે જ, સંપૂર્ણ સોના-ચાંદી અને હિરાજડિત આભૂષણોથી તેમનો શણગાર કરવામાં આવ્યો હતો અને શ્રીમસ્તક પર સુવર્ણજડિત મુગટ શોભી રહ્યો હતો. આ અલૌકિક શૃંગારના દર્શન કરીને ભક્તો ભાવવિભોર થયા હતા. સાંજે નિજ સભાખંડમાં આકર્ષક રંગોળીઓ અને દિપમાલા દર્શન યોજાયા હતા, જેનાથી સમગ્ર મંદિર પરિસર દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું હતું.
દ્વારકાધીશ 'શામળા શેઠ' સ્વરૂપે, ચોપડા પૂજન અને સિક્કા પૂજન
આ દિપોત્સવનું મુખ્ય આકર્ષણ રાત્રે 8:15 કલાકે યોજાયેલા હાટડી દર્શન હતા. આ સમયે દ્વારકાધીશજીએ સ્વયં શામળા શેઠનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને વેપારી બન્યા હતા. ઠાકોરજીની સમીપ તમામ પ્રકારની મીઠાઈઓથી ભરેલી હાટડી ગોઠવવામાં આવી હતી. ઠાકોરજી ત્રાજવા-તોલાં સાથે બિરાજમાન થયા હતા. આ પર્વે ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. લક્ષ્મી સ્વરૂપના સોના-ચાંદીના સિક્કાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું.
આ દિવ્ય દર્શનનો લાભ હજારો ભાવિકોએ પ્રત્યક્ષ રીતે લીધો હતો, જ્યારે લાખો કૃષ્ણભક્તોએ ઓનલાઈનના વિવિધ માધ્યમો દ્વારા પણ આ અવસર માણ્યો હતો.
આગામી પર્વોની ઊજવણી
તારીખ 21મી ઓક્ટોબરને મંગળવારના રોજ સવારે 11:30 કલાકે ગોવર્ધન પૂજા અને સાંજે 05 થી 07 કલાક સુધી ઠાકોરજીને ભવ્ય અન્નકૂટ મનોરથ યોજાશે.
તારીખ 22મી ઓક્ટોબરને બુધવારે નૂતન વર્ષની ઉજવણી થશે.
તારીખ 23મી ઓક્ટોબરને ગુરુવારે ભાઈબીજ પર્વની ઉજવણી કરવામાં આવશે.