પાલી હિલમાં અનિલ અંબાણીનું નિવાસસ્થાન, નવી દિલ્હીમાં રિલાયન્સ સેન્ટર, નોઈડા, ગાઝિયાબાદ, મુંબઈ, પુણે, થાણે, હૈદરાબાદ, ચેન્નાઈ અને પૂર્વ ગોદાવરીમાં સ્થિત અન્ય મિલકતોનો સમાવેશ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સામે મોટી કાર્યવાહી કરી છે. ગ્રુપની વિવિધ સંસ્થાઓની આશરે રૂ.3,084 કરોડ (આશરે 1.5 બિલિયન ડોલર) ની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ જપ્તીના આદેશો 31 ઓક્ટોબર, 2025 ના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) ની કલમ 5(1) હેઠળ જારી કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલી મિલકતોમાં પાલી હિલ, બાંદ્રા પશ્ચિમ, મુંબઈમાં તેમનું નિવાસસ્થાન શામેલ છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી દરમિયાન જપ્ત કરાયેલી મિલકતોમાં પાલી હિલમાં અનિલ અંબાણીનું રિલાયન્સ ગ્રુપનું નિવાસસ્થાન, નવી દિલ્હીમાં રિલાયન્સ સેન્ટર ખાતેની મિલકત અને દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, મુંબઈ, પુણે, થાણે, હૈદરાબાદ, ચેન્નાઈ (કાંચીપુરમ સહિત) અને પૂર્વ ગોદાવરીમાં સ્થિત અન્ય ઘણી મિલકતોનો સમાવેશ થાય છે. આ બધી મિલકતો પીએમએલએ હેઠળ જારી કરાયેલા ચાર આદેશો હેઠળ જપ્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે અનિલ અંબાણીનું પાલી હિલ, બાંદ્રા પશ્ચિમ, મુંબઈમાં રહેલું નિવાસસ્થાન ખૂબ જ લોકપ્રિય છે.
રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ સામે મોટી કાર્યવાહીમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (આરએચએફએલ) અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ (આરસીએફએલ ) દ્વારા એકત્ર કરાયેલા જાહેર ભંડોળના કથિત દુરુપયોગની મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં ૪૦ થી વધુ મિલકતો જપ્ત કરી છે. આ કેસ આરોપો સાથે સંબંધિત છે કે આરએચએફએલ અને આરસીએફએલ દ્વારા એકત્ર કરાયેલા જાહેર ભંડોળને અનિલ અંબાણી ગ્રુપ સાથે જોડાયેલી સંસ્થાઓ સાથે સંકળાયેલા વ્યવહારો દ્વારા વાળવામાં આવ્યું હતું અને લોન્ડર કરવામાં આવ્યું હતું.
આ પરોક્ષ રીતે યસ બેંક દ્વારા રૂટ કરવામાં આવ્યું હતું. ૨૦૧૭-૨૦૧૯ દરમિયાન, યસ બેંકે આરએચએફએલ સાહસોમાં રૂ. ૨,૯૬૫ કરોડ અને આરસીએફએલ સાહસોમાં રૂ.૨,૦૪૫ કરોડનું રોકાણ કર્યું હતું. ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં, આ રોકાણો બિનકાર્યક્ષમ બની ગયા હતા, આરએચએફએલ માટે રૂ. ૧,૩૫૩.૫૦ કરોડ અને આરસીએફએલ માટે રૂ, ૧,૯૮૪ કરોડ બાકી હતા.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ અને તેની સંલગ્ન સંસ્થાઓમાં તેની તપાસનો વિસ્તાર કર્યો છે. તેણે રૂ. 13,600 કરોડથી વધુની લોન છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. આમાંથી રૂ. 12,600 કરોડથી વધુ કથિત રીતે સંબંધિત પક્ષોને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જ્યારે રૂ. 1,800 કરોડ ફિક્સ્ડ ડિપોઝિટ અને મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને પછી અન્ય ગ્રુપ કંપનીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું છે કે તેણે કાયદેસર વ્યવહારોની આડમાં સંબંધિત સંસ્થાઓને ભંડોળ પહોંચાડવા માટે બિલ ડિસ્કાઉન્ટિંગનો મોટા પાયે દુરુપયોગ શોધી કાઢ્યો છે. ઇડી અનુસાર, તે દૂષિત સંપત્તિ જપ્ત કરવા માટે સતત કામ કરી રહી છે. આ કાર્યવાહી દ્વારા થતી વસૂલાતથી સામાન્ય લોકોને ફાયદો થશે.
ઇડીની તપાસ લાંબા સમયથી ચાલી રહી છે, અને 5 ઓગસ્ટના રોજ, ઇડીએ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને એમડી અનિલ અંબાણીને કથિત લોન છેતરપિંડીના કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. તે પહેલાં, ઇડી એ અનિલ અંબાણી સાથે સંકળાયેલી વ્યવસાયિક સંસ્થાઓ પર દરોડા પાડ્યા હતા. ઇડી એ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સાથે સંકળાયેલા 50 વ્યવસાયિક સંસ્થાઓ અને 25 વ્યક્તિઓના પરિસરમાં દરોડા પાડ્યા હતા. 24 જુલાઈના રોજ મુંબઈમાં ઓછામાં ઓછા 35 સ્થળોએ આ દરોડા પાડવામાં આવ્યા હતા.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) તાજેતરના સમયમાં અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ પર સતત પકડ મજબૂત કરી રહ્યું છે. ઓક્ટોબરમાં, ઇડી એ રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ ઓફ કંપનીઝના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર પાલની ધરપકડ કરી હતી. આ ધરપકડ નકલી બેંક ગેરંટી કેસના સંદર્ભમાં મની લોન્ડરિંગના આરોપસર કરવામાં આવી હતી.