મોડીરાત્રે કચ્છના ધોળાવીરામાં ભૂકંપ આવત ફફડાટ વ્યાપી ગયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા 3.7 હતી, જે હળવાથી મધ્યમ માનવામાં આવે છે.
ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી દક્ષિણ દક્ષિણ-પશ્ચિમ દિશામાં 32 કિલોમીટર દૂર નોંધાયું હતું. તેમજ ભૂકંપની ઊંડાઈ જમીનથી 0.9 કિલોમીટરે નોંધાઈ હતી. આ ભૂકંપનો આંચકો મોડીરાત્રે 2.28 વાગ્યે અનુભવાયો હતો. કચ્છમાં અગાઉ પણ વિનાશક ભૂકંપના આંચકા અનુભવાયા હોવાથી, રાત્રિના આ આંચકાએ ફરી એકવાર વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાવ્યો હતો, જેના કારણે ઘણા લોકો ભરનિંદ્રામાં તેમના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.
સ્થાનિક વહીવટી અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા પ્રમાણમાં ઓછી હતી. હાલમાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના કોઈ અહેવાલ નથી. કચ્છ પ્રદેશ ભૂકંપના ક્ષેત્રમાં આવે છે, જ્યાં નાના આંચકા વારંવાર અનુભવાય છે, જે આ પ્રદેશ માટે સામાન્ય છે.
આઠ ડિસેમ્બરે રાત્રે પોરબંદર પંથકમાં મધ્યરાત્રિએ માત્ર 17 મિનિટના સમયમાં 1.7થી 2.3ની તીવ્રતાના ઉપરાઉપરી પાંચ ભૂકંપના આચંકાથી ધરતી ધ્રૂજી ઉઠી હતી. રાત્રિના 1.11થી 1.26 વાગ્યા સુધીમાં અનુક્રમે 1.9, 1.7, 1.5, 2.3, 1.6ની તીવ્રતાના પાંચ આંચકા નોંધાયા હતા. આ ભૂકંપોનું કેન્દ્ર બિંદુ મજીયાણા, કુનવદર, ફટાણા, વગેરે ગામો આસપાસ નોંધાયું હતું અને આંચકા જમીનથી 6.7થી 15 કિ.મી.ની ઉંડાઈએ નોંધાયા હતા.