શાકભાજી અહીં કેમ રાખો છો, આ રસ્તો તમારા બાપુજીનો નથી તેમ કહી કોટડાસાંગાણીમાં વૃધ્ધ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. સસરાને બચાવાવ વચ્ચે પડતા પુત્રવધુને પણ છરી ઝીંકી દીધી હતી. જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
કોટડાસાંગાણી ગામે રહેતાં મનસુખભાઈ બસુભાઈ શેખલીયા (ઉં.વ.૬૧) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ગોવિંદ અરજણ સોલંકીનું નામ આપી જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજના છએક વાગ્યાની આસપાસ તેઓ પત્ની સહિતના પરીવાર સાથે વાડીએ શાકભાજી ઉતારતા હતા અને શાકભાજી ઉતારીની વાડીના શેઢાની બાજુમાં રસ્તા ઉપર મુકેલ હતું. સાંજના સમયે ગામનો ગોવિંદ સોલંકી ઘસી આવેલ અને કહેવા લાગ્યા કે, આ શાકભાજી રસ્તા ઉપર કેમ રાખો છો અને આ આ રસ્તો તમારા બાપુજીનો નથી, આ શાકભાજી અહીંથી લઈ લો જેથી તેને આ શાકભાજી રસ્તાની સાઈડમાં જ છે કહેતાં તેને સારું ન લાગતા ગાળો આપી ઉશ્કેરાઈ જઈ તેના નેફામાંથી છરી કાઢેલ અને છરીનો એક ઝીંકી દિધો હતો.
તેમજ બીજો ઘા ઝીંકવા જતાં ફરીયાદીનાં પુત્રવધૂ જયોત્સનાબેને છરીને પકડેલ જેથી તેને પણ હાથમાં આગળામા છરી લાગી ગયેલ અને ઇજા થયેલ હતી. ઉપરાંત આરોપીએ આજ તો હું અહીંથી જતો રહું છું, પણ હવે પછી મને જો ભેગો થયો તો તને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી નાસી છૂટ્યો હતો. જે બાદ ઇજાગ્રસ્ત સસરા વહુને સારવાર અર્થે ખસેડાયા હતાં.