માલિયાસણ બ્રિજ નજીક રોડ ક્રોસ કરતા પ્રૌઢને કારે ઉલાળતા મોત
માલિયાસણ બ્રિજ નજીક રોડ ક્રોસ કરતા પ્રૌઢને કારે ઉલાળતા મોત
January 29, 2026 11:42 AM
રાજકોટ-અમદાવાદ હાઇવે પર માલિયાસણ બ્રિજ નજીક રોડ ક્રોસ કરતા પ્રૌઢ ને પુરપાટ ઝડપે આવતી કારે ઉલાળતા ગંભીર ઇજા થવાથી સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ જીવ બચી શક્યો નહતો. બનાવના પગલે કુવાડવા પોલીસ દોડી ગઈ હતી.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા ગામે રહેતા વાલાભાઈ રામભાઈ કટેશીયા (ઉ.વ.65)ના પ્રૌઢ બપોરે ચારેક વાગ્યાના અરસામાં કુવાડવા રોડ પર આવેલી વાડીએથી ચાલીને ઘરે જતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવતી કારે પ્રૌઢને ઠોકરે લેતા રોડ પર પટકાતા માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી. અકસ્માત જોતા પસાર થતા વાહન ચાલકો સહિતના દોડી આવ્યા હતા અને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ સારવાર કારગત નીવડે પૂર્વે જ દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક મૂળ મોલડીના વતની હતા અને કુવાડવા ગામે વર્ષોથી વાડી રાખી વાવણી કરતા હતા. પોતે ચાર બહેન બે ભાઇમાં ત્રીજા નંબરે હતા અને સંતાનમાં પાંચ દીકરી બે દીકરા છે. અકસ્માત સર્જી નાસી છૂટનાર કાર ચાલકની પોલીસે શોધખોળ હઠળ ધરી છે. પ્રૌઢના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે.