પિતા-પુત્ર સામે નોંધાવાતી પોલીસ ફરિયાદ
ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ લાઈન અંગેની કામગીરી કરવા ગયેલા અધિકારીનો કાંઠલો પકડીને માર મારવા સબબ પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના મૂળ વતની અને હાલ ખંભાળિયામાં શ્રીજી સોસાયટી વિસ્તારમાં રહેતા મેહુલભાઈ રસિકભાઈ પટેલ નામના 38 વર્ષના યુવાન કે જે અહીંની પીજીવીસીએલ કચેરીમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે, તેમણે તેઓ ગઈકાલે મંગળવારે પોતાના સ્ટાફ સાથે ખેતીવાડીની જૂની પડી ગયેલી વીજ લાઈનને ઊભી કરવાની કામગીરી અર્થે નીકળ્યા હતા. ત્યારે અત્રેથી આશરે 16 કિલોમીટર દૂર શખપર ગામે પહોંચતા અહીં રહેલા જમન કેશવ નકુમ તેમજ તેના પુત્ર કેતન જમન નકુમએ કુહાડો લઈને તેમની પાસે આવીને કહેલ કે "તમારા થાંભલા પડી ગયા છે એ હવે અમારી વાડીમાં ઊભા કરતા નહીં. આ કોઈના બાપની જગ્યા નથી." એમ કહેતા અધિકારી મેહુલભાઈ પટેલએ સમજાવટભર્યું વલણ દાખવ્યું હતું. પરંતુ પિતા-પુત્રોએ ઉશ્કેરાઈને કુહાડા વડે તેમને માર મારી, "આજે તો તને મારી જ નાખવો છે"- તેમ કહીને બિભત્સ ગાળો ભાંડી હતી.
આમ, પિતા-પુત્ર દ્વારા સરકારી અધિકારીની ફરજમાં રૂકાવટ કરવા સબબ ખંભાળિયા પોલીસે પીજીવીસીએલના અધિકારી મેહુલભાઈ પટેલની ફરિયાદ પરથી પિતા-પુત્ર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.