કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટને બોમ્બની ધમકી મળ્યા બાદ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં કુલ 180 જેટલા મુસાફરો સવાર હતા. ઘટનાને પગલે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી.
કોઈપણ જાતની શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી નથી
પ્રાપ્ત માહિતી મુજબ, ફ્લાઇટમાં ટિસ્યૂ પેપર પર હાઈજેક અને બોમ્બથી પ્લેન ઉડાવી દેવાની ધમકી ભરેલું લખાણ મળ્યું હતું. આથી પાઇલટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી હતી અને તમામ સુરક્ષા પ્રોટોકોલ અનુસાર પ્લેનને અમદાવાદ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું. પ્લેન લેન્ડ થતાં જ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમની સાથેના લગેજનું સંપૂર્ણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. એરપોર્ટના સૂત્રો અનુસાર, અત્યાર સુધી કોઈપણ જાતની શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી નથી. બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્કવોડ દ્વારા પ્લેનની અંદર અને બહાર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
તમામ મુસાફરો સુરક્ષિત
એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.ડી. નકુમે જણાવ્યું હતું કે, ધમકી મળ્યા બાદ તમામ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એલર્ટ થઈ ગઈ હતી. તપાસ પૂર્ણ થયા બાદ પણ પ્રોટોકોલ મુજબ આગળની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું.
આ પહેલા પણ બોમ્બની ધમકી મળી હતી
ઉલ્લેખનીય છે કે 27 જાન્યુઆરી, 2026ની સવારે અમદાવાદ એરપોર્ટને પણ ઈ-મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારે એરપોર્ટના લગેજ વિભાગમાં બોમ્બ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ સઘન તપાસ બાદ કંઈ ન મળતાં આ ધમકી ખોટી હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ મામલે એરપોર્ટ સુરક્ષા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.