આજરોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના યોજાનારા ‘રોડ-શો’ ને લઇ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિશાળ જનમેદની ઉમટી પડવાની શક્યતા હોવાથી અને સુરક્ષા તેમજ ટ્રાફિકની જાળવણી માટે શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ ટ્રાફિક નિયમન આજે સાંજે ૫ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધી અથવા રોડ-શો પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ સમય દરમિયાન નિર્ધારિત રૂટ પર તમામ પ્રકારના વાહનો માટે 'નો એન્ટ્રી' અને 'નો પાર્કિંગ' ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેમાં બંધ રહેનારા મુખ્ય માર્ગો અને રૂટમાં રોડ-શોનો રૂટ ત્રિકોણ બાગથી શરૂ થઈ ભૂપેન્દ્ર રોડ, પેલેસ રોડ, કનક રોડ, જ્યુબિલી બાગ, પરાબજાર, લાખજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ અને ગરેડિયા કુવા રોડ થઈ પૂર્ણ થશે. આ મુખ્ય માર્ગો પર સામાન્ય વાહનવ્યવહાર સંપૂર્ણ પણે બંધ રહેશે.
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ બહાર પાડેલા જાહેરનામા મુજબ, સર અમરસિંહજી પેન્ટાલૂનથી ત્રિકોણબાગ માર્ગ પર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. વાહનચાલકો સર અમરસિંહજી પેન્ટાલૂન શો-રૂમથી આરએમસી ચોક તરફ જઈ શકશે.આરએમસી ચોકથી ત્રિકોણબાગ તરફ પ્રવેશબંધી હોવાથી વાહનચાલકોએ અમરસિંહજી પેન્ટાલૂન શો-રૂમ થઈ માલવીયા ચોક તરફ જવાનું રહેશે. સેન્ટ્રલ પોઈન્ટથી કરણસિંહજી ચોક તરફ વાહનોના પ્રવેશ પર રોક લગાવાઈ છે. વૈકલ્પિક રીતે આરએમસી ચોકથી અમરસિંહજી પેન્ટાલૂન શો-રૂમ તરફ જઈ શકાશે.
કરણપરા ચોકથી રાજશ્રી સિનેમા તરફ પ્રવેશબંધી હોવાથી વાહનો સેન્ટ્રલ પોઈન્ટ અને આરએમસી ચોક થઈને જઇ શકશે. આશાપુરા માતાજી મંદિરથી ભુપેન્દ્ર રોડથી પેલેસ રોડ તરફ જતા વાહનો માટે આ રસ્તો બંધ છે. તેના વિકલ્પમાં આશાપુરા માતાજી મંદિરથી મેઈન રોડ થઈ સેન્ટ્રલ પોઈન્ટ અને આરએમસી ચોકનો ઉપયોગ કરવાનો રહેશે.આરકે જીન્સથી પેલેસ રોડ રામજી મંદિરથી જવા માટે રસ્તો બંધ છે. તમામ પ્રકારના વાહનો આરકે જીન્સથી હથિખાના મેઈન રોડ તરફ જઈ શકશે.
કોઠારીયા પોલીસ ચોકીથી કુંભારવાડા થઈ ગુંદાવાડી અને રૈયાનાકા ટાવર તરફ જવા માંગતા વાહનચાલકો વિરાણી વાડી અને આર.કે.જીન્સ થઈ હાથીખાના મેઈન રોડનો ઉપયોગ કરી શકશે. દાણાપીઠથી રૈયાનાકા ટાવર ઘી-કાંટા રોડ તરફ જવા માંગતા વાહનચાલકો મોચી બજારથી ચબૂતરા થઈ કોર્ટ ચોક તરફ જઈ શકશે. ઘી-કાંટા રોડ સેન્ટ્રલ અગરબત્તીવાળી શેરીથી લાખાજીરાજ રોડ સુધી વાહનોનો પ્રવેશ બંધ છે.
ધર્મેન્દ્ર રોડ જલારામ સીઝન સ્ટોરથી કે.પી.જંકશન સુધી તમામ વાહનો માટે રસ્તો બંધ રહેશે.ગરેડીયા કુવા રોડ હુસેની હાર્ડવેરથી સાંગણવા ચોક સુધીના માર્ગ પર પ્રતિબંધ મુકાયો છે.ઢેબર રોડ વન-વે કોઠારી ઝેરોક્ષવાળી શેરીથી ગરેડીયા કુવા રોડ તરફનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે.સાંગણવા ચોક રાજશ્રી સિનેમા અને જૂની ખડપીઠથી સાંગણવા ચોક તરફ જવા માંગતા વાહનો માટે પણ ડાયવર્ઝન અપાયું છે. રાજશ્રી સીનેમાથી સંગણવા ચોક તરફ જતાં તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી કરાઈ છે.
પાર્કિંગ માટેની વ્યવસ્થાઓ
એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેનું પેઇડ પાર્કિંગ,લાખાજીરાજ સ્કૂલનું મેદાન, ત્રિકોણબાગ ચોકમાં નિર્ધારિત પાર્કિંગ વ્યવસ્થા અને શાસ્ત્રી મેદાનમાં જાહેર જનતા માટે પાર્કિંગ માટે વ્યવસ્થા રાખવામાં આવી છે.