રાજકોટમાં માનપા રસ્તાઓ અપન સરખા સાફ કરાવી શક્તિ નથી અને સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે પહોંચવાના સપના જોવાઈ રહ્યા છે. મહાપાલિકામાં સ્વચ્છ સર્વેક્ષણ- ૨૦૨૬ની તડામાર તૈયારીઓ શરૂ થઇ કરવામાં આવી છે જેના ભાગરૂપે આજે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને ઓલ સ્ટાફ મિટિંગ યોજાઇ હતી જેમાં કમિશનરે સ્ટાફને એવા મતલબનનો આદેશ જારી કર્યો હતો કે વર્ષ-૨૦૨૬માં રાજકોટને દેશનું સ્વચ્છ શહેર નં.૧ બનાવવા માટે જે કંઇ કરવું પડે તે કરો.
સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૬ને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેરને ખરા અર્થમાં સ્વચ્છ, સુંદર અને આરોગ્યપ્રદ બનાવવાના હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજન શરૂ કરવામાં આવ્યું છે. આ અનુસંધાને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.આ બેઠકમાં શહેરની વર્તમાન સ્વચ્છતા વ્યવસ્થા, આવનારા સમયમાં હાથ ધરવાના સુધારાત્મક પગલાં, નાગરિકોની ભાગીદારી અને વોર્ડ કક્ષાએ જવાબદારી નિર્ધારણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.મ્યુનિસિપલ કમિશનરએ જણાવ્યું હતું કે, સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૬ માત્ર રેન્કિંગ પૂરતું નથી, પરંતુ રાજકોટના દરેક નાગરિક માટે સ્વચ્છ, સુંદર અને આરોગ્યપ્રદ જીવનશૈલી સુનિશ્ચિત કરવાનો એક અવસર છે.
કમિશનર આ સાત પગલાથી લાવશે સ્વચ્છતા
૧.દરેક અધિકારીને ઝીણવટભર્યું અને પરિણામલક્ષી આયોજન
૨.વોર્ડ કક્ષાએ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જવાબદારી નિર્ધારણ
૩.સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૬માં રાજકોટને અવ્વલ બનાવવા શપથ અને સંકલ્પ
૪.નાગરિકોની ભાગીદારી સાથે સ્વચ્છ રાજકોટનું લક્ષ્ય
૫.વોર્ડ-ઝોન સ્તરે સતત મોનિટરિંગ અને સમીક્ષા વ્યવસ્થા
૬.સ્વચ્છ સર્વેક્ષણના તમામ માપદંડોને ધ્યાનમાં રાખીને આયોજન
૭.સ્વચ્છ, સુંદર અને આરોગ્યપ્રદ રાજકોટ તરફ દૃઢ પગલાં