સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નોન ટિચીગ સ્ટાફની ખાલી પડેલી જગ્યાઓ વર્ષો સુધી ભરાયા વગરની રહ્યા પછી આખરે રાજ્ય સરકારે આવી જગ્યાઓ ભરવા માટેની મંજૂરી આપી છે. સરકારની મંજૂરી મળ્યા પછી ડિસેમ્બર માસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ સંદર્ભે અખબારોમાં જાહેરાત આપીને અરજીઓ માંગવામાં આવી હતી. આવેલી અરજીઓમાંથી ઉમેદવારોની પસંદગી કરવા માટે બે તબક્કામાં પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ડેટા એન્ટ્રી ઓપરેટર, ક્લાર્ક, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ, સ્ટેનોગ્રાફર, ટેકનિકલ આસિસ્ટન્ટ જેવી જુદી જુદી 59 જગ્યા માટે યોજાનારી આ પરીક્ષામાં કુલ ૧૪૦૦ ઉમેદવારો નોંધાયા છે અને તેમાં ઓએમઆર સિસ્ટમથી પરીક્ષા લેવાશે. સાથોસાથ માઇનસ માર્કિંગ સિસ્ટમ પણ લાગુ પાડવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ પ્રથમ તબક્કો સ્પર્ધાત્મક પરીક્ષાનો રહેશે અને તે સંભવત આગામી તારીખ 15 અને 29 ના રોજ રવિવારે લેવામાં આવશે. ઉમેદવારોની સંખ્યા વધુ હોવાના કારણે પરીક્ષા બે તબક્કામાં રાખવામાં આવી છે. નોન ટીચિંગ સ્ટાફની વર્ગ ત્રણ ના કર્મચારીઓની ખાલી પડેલી આ જગ્યાઓ માટે જે પરીક્ષા લેવામાં આવશે તે ઓએમઆર સિસ્ટમથી લેવામાં આવશે.
નોકરી કરવા માટે અરજી કરનાર ઉમેદવારની હોલ ટિકિટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેની વેબસાઈટ પર મૂકી દેશે અને ઉમેદવારો લોગીન કરીને પોતાની હોલ ટિકિટ મેળવી લેવાની રહેશે. જે ઉમેદવારો પરીક્ષામાં પાસ થશે તેમને રૂબરૂ ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નો ટીચિગ ઉપરાંત ટીચિગ સ્ટાફની પણ ઘણી જગ્યાઓ ખાલી પડી છે. સરકારે આવી જગ્યાઓ પણ મંજૂર કરી છે અને તેની ભરતીની પ્રક્રિયા પણ નજીકના ભવિષ્યમાં હાથ ધરવામાં આવશે. રજીસ્ટ્રારની ખાલી જગ્યા માટેના ઇન્ટરવ્યૂ લેવાઈ ગયા છે અને ઉમેદવાર પણ પસંદ થઈ ગયો છે. પરંતુ હજુ સુધી તેના નામની જાહેરાત થઈ નથી. આવી જ રીતે પરીક્ષા નિયામકની જગ્યા ખાલી પડી છે તે માટે પણ કાર્યવાહી ચાલુ હોવાનું યુનિવર્સિટીના સુત્રો જણાવે છે. જોકે પરીક્ષા નિયામક માટે જે એક ઉમેદવાર એલીજીબલ થયા હતા તેમણે આ પોસ્ટ માટે ઈચ્છા ધરાવતા નથી તેમ કહીને અરજી પાછી ખેંચી લેતા હવે શું કરવું તે સવાલ ઊભો થયો છે.