કાળઝાળ ગરમી વચ્ચે રાજકોટ એસટી બસપોર્ટના પંખા બંધ હોય આ અંગે અવારનવાર રજુઆત છતાં પંખાનું રિપેરિંગ થતું ન હોય કે બદલીને નવા પંખા નાખવામાં આવતા ન હોય આ મામલે તાજેતરમાં વધુ એક વખત મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા નિગમના મેનેજિંગ ડિરેકટર સુધી રજુઆત કરાઇ છે. સમિતિએ એવો કટાક્ષ પણ કર્યો છે કે રાજકોટ એસટી બસપોર્ટમાં આવતા મુસાફરોએ તેમને ગરમી ન થાય તે માટે ઘરેથી પંખો સાથે લઇને આવવું!
અંગ દઝાડતા તાપથી મુસાફરો પરસેવે રેબઝેબ
વધુમાં સમિતિએ કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ સૌથી વધુ રેકોર્ડબ્રેક ગરમી રાજકોટમા છે. અસહ્ય તાપથી હજારો મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક શહેરોમાં સરકારે રેડ એલર્ટ જાહેર કર્યા છે. સાંજના સમય સુધી લૂ વર્ષા થઇ રહી છે. કાળઝાળ ગરમી અને અંગ દઝાડતા તાપથી મુસાફરો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.
રાજકોટ બસપોર્ટની આજુબાજુનું તાપમાન ૪૬ ડિગ્રી નોંધાઇ રહ્યું છે
રાજકોટ બસપોર્ટની આજુબાજુનું તાપમાન ૪૬ ડિગ્રી નોંધાઇ રહ્યું છે. મુસાફરો ગરમીમાં શેકાઈ રહ્યા છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. રાજકોટ એસટી ડિવિઝનના અધિકારી કે કોન્ટ્રાક્ટર એજન્સીને મુસાફરોની લેશ માત્ર પણ દરકાર નથી. મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોનો ઉલાળીયો કરી પોતાની મનમાની કરી તાનાશાહી ચલાવી રહ્યા છે તેવો આક્ષેપ સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરાયો છે.