BREAKING NEWS

ખેતીના મુર્જાતા કપાસ, મગફળી,સોયાબીનના પાકને જીવન દાન મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ

  • September 15, 2026 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના વિખ્યાત યાત્રાધામ વીરપુરમાં સોમવારે સવારથી જ આકાશમાં વાદળો ઘેરાયેલા જોવા મળ્યા હતા અને દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. દિવસભર ઉકળાટ અને બફારાથી લોકો પરેશાન જોવા મળ્યા બાદ સાંજના સમયે અચાનક મેઘરાજાએ ધોધમાર વરસાદ સાથે એન્ટ્રી કરી હતી. વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી.
સાંજના સમયે વરસાદે જોર પકડતા વીરપુર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. લાંબા સમય બાદ વરસાદ વરસતા રસ્તાઓ ભીંજાઈ ગયા હતા અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદના પગલે ગરમીથી પરેશાન લોકોમાં પણ રાહતનો માહોલ જોવા મળ્યો હતો. વાદળોના ગડગડાટ સાથે વરસેલા વરસાદથી યાત્રાધામનું વાતાવરણ પણ આહલાદક બની ગયું હતું.
બીજી તરફ, વીરપુર પંથકના ખેડૂતો માટે પણ આ વરસાદ રાહતના સમાચાર લઈને આવ્યો છે. વરસાદના અભાવે ચિંતા અનુભવતા ખેડૂતોને મેઘરાજાની આ મહેરથી પાકને જરૂરી ભેજ મળવાની આશા જાગી છે. ખાસ કરીને કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાકો માટે આ વરસાદ ફાયદાકારક સાબિત થવાની સંભાવના છે.
વરસાદી માહોલ સર્જાતા ખેતરોમાં પણ ચહલપહલ વધી હતી. પાકને પાણીની જરૂરિયાત વચ્ચે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. વીરપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના પગલે ખેડૂતોમાં આશાનું વાતાવરણ સર્જાયું છે.
છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે મેઘરાજાની આ એન્ટ્રી મહત્વપૂર્ણ બની છે. વરસાદનો વધુ લાભ પાકોને મળે અને આગામી દિવસોમાં પણ સારો વરસાદ વરસે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે. આમ, એક તરફ વરસાદથી લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે તો બીજી તરફ ખેતી માટે પણ વરસાદ આશીર્વાદરૂપ બનતા વીરપુર પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application