BREAKING NEWS

રાજકોટના રૈયા ગામમાં વહેલી સવારે ઘરમાં ગેસનો બાટલો લીકેજ થતા આગ: સદભાગ્યે જાનહાનિ નહીં

  • September 15, 2026 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના રૈયા ગામમાં આજરોજ વહેલી સવારે આગની ઘટના બની હતી. અહીં રહેતા ભરવાડ પરિવારના મકાનમાં આજરોજ વહેલી સવારના રસોઈ બનાવતા સમયે ગેસ સિલિન્ડરના રેગ્યુલેટરમાં લીકેજ થવાના લીધે આગ ભભૂકી ઊઠી હતી. જેથી પરિવાર ગભરાઈ ગયો હતો. જોકે તુરંત જ તેમણે ગેસનો આ બાટલો બહાર ફળિયામાં રાખી દીધો હતો અને ફાયરને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે તાકીદે અહીં પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદભાગ્યે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.

આગજનનીની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ રૈયા ગામમાં 50 વરિયા પ્લોટમાં રહેતા લાખાભાઈ ફાંગલીયાના મકાનમાં ગેસના બાટલામાં આગ લાગ્યા અંગે ફાયર બ્રિગેડને વહેલી સવારે 6:53 કલાકે કોલ મળ્યો હતો જેથી રામાપીર ફાયર સ્ટેશનથી ફાયરની ટીમ તાકીદે અહીં પહોંચી હતી અહીં આવી જોતા ગેસના બાટલામાં આગ લાગી હોય જેથી ફાયર બ્રિગેડના સ્ટાફે તાકીદે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદભાગ્યે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, રૈયા ગામ 50 વારીયા પ્લોટમાં જે મકાનમાં આગ લાગી હતી તે મકાન લાખાભાઈ ફાંગલિયાનું હોવાનું માલુમ પડ્યું છે. લાખાભાઈના મોટાભાઈનું એક માસ પૂર્વે અવસાન થયું હોય આજરોજ તેની વિધિ હોય જેથી પરિવારના સભ્યો વ્હેલી સવારના જાગી ગયા હતા. દરમિયાન રસોઈ કરવા જતા ગેસ સિલિન્ડરના રેગ્યુલેટરમાં લીકેજ થવાના લીધે આગ ભભૂકી ઉઠી હતી. જો કે ગેસનો બાટલો તુરંત જ ફળિયામાં રાખી દઈ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા આ ઘટનામાં ઘરમાં મોટું નુકસાન કે જાનહાની થવા પામી નથી.

આગ ઓલવવાની આ કામગીરીમાં રામાપીર સ્ટેશનના ઓફિસર વિજયભાઈ તથા સ્ટાફ રોહિતભાઈ કટારા, ધ્રુવભાઈ ત્રિવેદી, મેહુલભાઈ સહિતનાઓ સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application